નેપાળમાં સંસદ ભંગ: સુશીલા કાર્કી વચગાળાની સરકારના પ્રમુખ, આજે જ થશે શપથવિધિ

September 12, 2025

નેપાળમાં Gen-zના ઉગ્ર આંદોલને દેશની સરકારને ઉથલાવી નાખી. વડાપ્રધાન કેપી શર્મા ઓલીથી માંડી અનેક મંત્રીઓ રાજીનામું આપવા મજબૂર બન્યા. ભ્રષ્ટાચાર અને કુશાસન વિરૂદ્ધ યુવાનોનું દેશવ્યાપી આંદોલન ચાલુ છે. આ આંદોલન વચ્ચે દેશની કમાન સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સુશીલા કાર્કીને સોંપવાની તૈયારી થઈ રહી છે.
નેપાળના રાષ્ટ્રપતિ કાર્યાલય 'શીતલ નિવાસ'એ પોતાના કર્મચારીઓને નવા વચગાળાના વડાપ્રધાનના સ્વાગતની તૈયારીઓ શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ પ્રકારના આદેશ જાહેર કર્યા છે. જેથી સુશીલા કાર્કીને વચગાળાના વડાપ્રધાન બનાવવામાં રાજકીય સહમતિ જોવા મળી રહી છે. 

દેશના ટોચના રાજકીય પક્ષો અને રાષ્ટ્રપતિ વચગાળાની સરકારનું નેતૃત્વ સુશીલા કાર્કીના હાથમાં સોંપવા માગે છે. તેઓએ મંત્રાલયને આ સંબંધિત વ્યવસ્થાઓ શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. સુશીલા કાર્કી એક પ્રતિષ્ઠિત ન્યાયવિદ અને નેપાળના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ હતાં. તેમની છબિ એક નિષ્પક્ષ વ્યક્તિ રૂપે છે. વર્તમાન અસ્થિરતાના દોરમાં તેઓ વિશ્વસનીયતા અને સ્થિપતા સ્થાપિત કરવા સક્ષમ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. નેપાળમાં રાજકીય ઉથલ-પાથલ બાદ મોટાભાગની પ્રજાએ સુશીલા કાર્કીના હાથમાં દેશનું નેતૃત્વ સોંપવાની માગ કરી હતી. બીજી બાજુ અમુક યુવાનો માને છે કે, તેઓ ભારતથી વધુ પડતું આકર્ષણ ધરાવતા હોવાથી તેઓ આ પદ માટે યોગ્ય નથી.