જેલમાં બંધ અમૃતપાલના 7 સાથીઓ સામે NSA નહીં, હવે કેસ ચાલશે

March 16, 2025

દિબ્રુગઢ : દિબ્રુગઢની જેલમાં બંધ પંજાબમાં ખાલિસ્તાનવાદી નેતા અને સાંસદ અમૃતપાલ સિંહના સાત સાથીઓ અંગે પંજાબ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે NSA હેઠળ અમૃતપાલના 7 સાથીઓ સામે NSAની અવધિ ન વધારવાનો અને તેમની સામે કેસ ચલાવાનો નિર્ણય લીધો છે. આ તમામ આરોપીઓ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાના આરોપી છે.


સૂત્રોના જણાવ્યા મુજબ, અમૃતપાલ સિંઘના સાત સાથીઓ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ દિબ્રુગઢની જેલમાં બંધ છે, જેમની સામે પંજાબ સરકારે NSA ન વધારવાનો નિર્ણય લીધો છે. સરકાર આ સાતેય આરોપીઓ સામે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાનો કેસ ચલાવવા ઈચ્છે છે. સરકારે એવું પણ કહ્યું છે કે, આ સાતેય આરોપીનો પંજાબ લવાશે, પછી તેમની સામે કેસ શરૂ કરવામાં આવશે. જોકે સરકારે અમૃતપાલ અને તેના બે સાથીઓ અંગે હજુ કોઈપણ નિર્ણય લીધો નથી. આ પહેલા કેન્દ્ર સરકારે પંજાબની ખડૂર સાહિબ બેઠક પરના સાંસદ અમૃતપાલ સિંહ અંગે હરિયાણા કોર્ટને માહિતી આપી હતી કે, જેલમાં બંધ સાંસદને 54 દિવસની રજા અપાઈ છે. આ માહિતી એડિશનલ સોલિસિટર જનરલ સતપાલ જૈને ચીફ જસ્ટિસ શીલ નાગુ અને જસ્ટિસ સુમિત ગોયલની ડિવિઝન બેંચ સમક્ષ લોકસભા સચિવાલય દ્વારા 11 માર્ચે જારી કરાયેલા પત્રને રજૂ કરતી વખતે આપી હતી. પત્ર દ્વારા જણાવાયું હતું કે, અમૃતપાલ સિંહને 24 જૂન-2024થી બે જુલાઈ-2024 સુધી, 22 જુલાઈ-2024થી 9 ઓગસ્ટ-2024 સુધી અને 25 નવેમ્બર-2024થી 20 ડિસેમ્બર 2024 સુધી રજા અપાઈ હતી.

આ મુદ્દે ખંડપીઠે કહ્યું કે, ‘અરજદાર (અમૃતપાલ)ને સંસદમાંથી હાંકી કાઢવાનો ડર હતો, જોકે આ પત્રથી તેમી ચિંતા દૂર થઈ ગઈ છે. અમૃતપાલે અરજીમાં માંગ કરી હતી કે, સાંસદ ફંડ સંબંધિત સ્થાનિક વિકાસ કાર્યો માટે અધિકારીઓ અને મંત્રીઓને મળવાની પરવાનગી આપવામાં આવે, જે પર કોર્ટે કહ્યું હતું કે, સંસદની કાર્યવાહી કેટલાક નિયમોને આધીન ચાલે છે, તેથી અરજદારે આ મુદ્દે લોકસભા અધ્યક્ષને અરજી કરે.