જામનગરમાં કોંગ્રેસનો ખેડૂતો મુદ્દે વિરોધ: પાક વીમા અને રાહત પેકેજને 'લટકતું ગાજર' ગણાવ્યું

July 25, 2025

જામનગર : આજે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને પાક વીમા પોર્ટલને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવીને પોતાની રજૂઆતો કરી હતી. આ રેલી દરમિયાન કોંગ્રેસ દ્વારા "ખેડૂતોને છેતરવાનું બંધ કરો" અને "ખેડૂતોની કોણીએ ગોળ લગાવવાનું બંધ કરો" જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે સરકારની ખેડૂત વિરોધી નીતિઓ પ્રત્યેનો આક્રોશ દર્શાવતા હતા.


જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ કથીરીયાની આગેવાની હેઠળ આયોજિત આ રેલીમાં, કોંગ્રેસના અનેક કાર્યકરો ખેડૂતોને સાથે રાખીને પોતાના હાથમાં પોસ્ટરો અને બેનર લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યારબાદ ખેડૂતોને ન્યાય અપાવવાના મામલે વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.


આ અંગે મનોજ કથીરીયાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સામાન્ય માણસ સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ પોસ્ટ મૂકે તો તેને ષડયંત્ર ગણી જેલમાં ધકેલી દેવામાં આવે છે. જ્યારે રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક અનેક વખત સરકારને બદનામ કરવાનું અને સરકાર સાથે કાવતરું કરવાના ષડયંત્રો કરી ચૂક્યા છે. જેના અનેક પુરાવા સરકારને આપવામાં આવ્યા હોવા છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.


તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, ગત ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદનું રાહત પેકેજ માત્ર કપાસ પાકમાં જ આપવામાં આવ્યું છે, જ્યારે મગફળી અને અન્ય પાકોને અન્યાય થયો છે. વધુમાં, તેમણે 'ડિજિટલ ઇન્ડિયા' અને 'ડિજિટલ ગુજરાત'ની વાતો વચ્ચે છેલ્લા 11-12 દિવસથી પાક વીમા પોર્ટલ ખુલતું ન હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહત પેકેજને "માત્ર એક લટકતું ગાજર" ગણાવી, કોંગ્રેસે સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સખત વિરોધ દર્શાવ્યો હતો.