'લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..' UNSC રિપોર્ટમાં પાક.ના જુઠ્ઠાણાની પોલ ખુલી

July 30, 2025

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. આ મામલે યુએન (યુનાઈટેડ નેશન્સ) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થતાં પાકિસ્તાનની પોલ ખોલી છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલની સેન્ક્શન્સ મોનિટરિંગ ટીમે રિપોર્ટમાં જણાવ્યું છે કે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે બે વખત પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી. ઘટનાસ્થળની તસવીરો પણ જાહેર કરી હતી. આ હુમલો પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સમર્થન વિના થઈ શકે નહીં. યુએનએસસીમાં ISIL (દાએશ), અલકાયદા જેવા આતંકી સંગઠનો પર દેખરેખ રાખતી ટીમે 36મો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, 22 એપ્રિલના પાંચ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હુમલો કર્યો હતો. હુમલાના દિવસે જ ટીઆરએફની જવાબદારી લીધી હતી. તેમજ હુમલાની તસવીરો પણ જાહેર કરી હતી. ટીઆરએફે બીજા દિવસે પણ હુમલાની જવાબદારી લીધી. પરંતુ 26 એપ્રિલે ટીઆરએફે પોતાના દાવા પરથી પીછેહટ કરી. ત્યારબાદ તેણે કોઈ નિવેદન આપ્યું નહીં. તેમજ અન્ય કોઈ આતંકી જૂથે પણ આ હુમલાની જવાબદારી લીધી નહીં.  યુએનએસસી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ લશ્કર-એ-તૈયબાની મદદ વિના આ હુમલો કરી શકે નહીં. આ બંને આતંકી જૂથ વચ્ચે સંબંધ છે. આ હુમલાને ટીઆરએફે અંજામ આપ્યો છે. જે લશ્કર-ઐ-તૈયબાનો પર્યાય છે. ઉલ્લેખનીય છે, હુમલા બાદ અમેરિકાએ ટીઆરએફને વિદેશી આતંકી જૂથ જાહેર કર્યુ હતું. આ વર્ષે 22 એપ્રિલના રોજ પહલગામની બૈસરન ખીણમાં ત્રણ આતંકવાદીઓેએ નિર્દોષ પર્યટકો પર હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોની ગોળી મારી હત્યા કરી હતી. જો કે, ભારતે તેનો આકરો બદલો લીધો હતો. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર મારફત 100 આતંકીઓ અને હાલમાં જ ઓપરેશન મહાદેવની મદદથી પહલગામમાં હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા હતા.