PM મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર, કહ્યું- ‘1.4 અબજ ભારતીયોને તમારા પર ગર્વ’

March 18, 2025

આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે ધરતી પર પરત ફરવાના છે. વિલિયમ્સ, વિલમોર અવકાશ સ્ટેશન (ISS) પર લાંબા સમય સુધી રહ્યા બાદ પરત ફરી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ અને ટીમ પરત ફરવાનું સાંભળતા જ વિશ્વભરના લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સના નામે પહેલી માર્ચે ભાવુક પત્ર લખી દેશના 1.4 અબજ લોકોની ભાવનાઓને વ્યક્ત કરી છે. વાસ્તવમાં ભારતના કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ.જીતેન્દ્ર સિંઘના ટ્વિટર હેન્ડલ પર એક પત્ર શેર કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર સાથે એક પત્ર છે. વડાપ્રધાન દ્વારા લખાયેલા પત્રમાં લખાયું છે કે, ‘ભલે તમે અમારાથી હજારો મીલ દૂર હોવ, પરંતુ તમે અમારા દિલની નજીક છો. તમે ભારતની આન, બાન અને શાન છો. તમારી ઉપલબ્ધિઓ તમામ ભારતીયો માટે પ્રેરણા સ્રોત છે. ભારત તમારી રાહ જોઈ રહ્યું છે.’  પીએમ મોદીએ પત્રમાં સુનિતાની શક્તિ અને સાહસની કામના કરી તેઓ સુરક્ષિત પાછા ફરે તે માટે પ્રાર્થના કરી છે. આ પત્ર અવકાશયાત્રી માઈક માસિમિનો દ્વારા સુનિતા સુધી પહોંચાડવામાં આવ્યો છે. વડાપ્રધાન માસિમિનો સાથે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મુલાકાત કરી હતી.  ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરિક્ષ યાન આજે સવારે (18 માર્ચ, મંગળવાર) 10.35 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું.