મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી

May 06, 2026

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ વિપક્ષી ગઠબંધન INDIAમાં આંતરિક ડખાં ઉભા થયા હોવાના સંકેતો મળી રહ્યા છે. બંગાળમાં ભાજપની સુનામી વચ્ચે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. આ પરાજય પર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના કેટલાક નેતાઓ જે રીતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેના પર રાહુલ ગાંધીએ સખત નારાજગી વ્યક્ત કરી છે. બંગાળના પરિણામો પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'કોંગ્રેસ અને કેટલાક અન્ય નેતાઓ TMCની હાર પર ખુશ થઈ રહ્યા છે. તેમણે આ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે આસામ અને બંગાળના જનાદેશની ચોરી એ ભારતીય લોકશાહીને ખતમ કરવાના ભાજપના મિશનમાં એક મોટું પગલું છે. નાની-નાની રાજનીતિને એક બાજુ મૂકી દો. આ કોઈ એક પક્ષની વાત નથી પરંતુ આ ભારતની વાત છે.' ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સતત મમતા બેનરજીના પક્ષમાં ઉભા રહ્યા છે અને અગાઉ પણ તેમણે કહ્યું હતું કે, 'અમે મમતાજી સાથે સહમત છીએ, બંગાળમાં 100 થી વધુ બેઠકો ચોરાઈ છે.'
શિવસેના-UBTના પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિપક્ષી નેતાઓની ખુશીને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘TMC અને DMKની નિષ્ફળતા પર ઈન્ડિ ગઠબંધનની અંદરથી જે રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે તે શરમજનક છે. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને બિહારમાં તેજસ્વી યાદવ ચૂંટણી હાર્યા હતા, ત્યારે પણ આવું થયું હતું. તાજેતરમાં જ AAPમાં બળવા સમયે પણ આવું કુટિલ હાસ્ય જોવા મળ્યું હતું. હવે આવનારી યુપી ચૂંટણીઓ માટે અખિલેશ યાદવને નિશાન બનાવાઈ રહ્યા છે. એ યાદ રાખજો કે, મતદારો આ પ્રકારના કુટિલ હાસ્યને જાકારો આપે છે અને ભાજપ તેનો ફાયદો ઉઠાવે છે. વિપક્ષી નેતાઓએ તે ભાવનાને યાદ રાખવી જોઈએ જેના કારણે આ ગઠબંધન બન્યું હતું.’
રાહુલ ગાંધીએ ભલે કોઈનું નામ લીધું ન હોય પરંતુ બંગાળના રાજકારણમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)ના નિવેદનની જોરદાર ચર્ચા થઈ રહી છે. અધીર રંજને ટીએમસી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘ભાજપ મમતા બેનરજીના સમર્થનથી જ બંગાળમાં દાખલ થઈ છે. મમતા બેનરજી (Mamata Banerjee)એ ભાજપ માટે રેડ કાર્પેટ બિછાવ્યું અને મિજબાનીઓની વ્યવસ્થા કરી, જેનું ખામિયાજું હવે ટીએમસીએ ભોગવવું પડી રહ્યું છે. બંગાળમાં કેસરિયા લહેર એટલે કે ગેરુઆ લહેર અને સત્તા વિરોધી લહેર ચાલી જેનાથી આવા પરિણામો આવ્યા છે. લોકોને પરિવર્તનનો અંદાજ તો હતો પણ ટીએમસીનું નામોનિશાન નહીં રહે તે અમારી વિચારધારાની બહાર હતું. મમતાની ચાલાકી જ તેમની હારનું કારણ બની છે, જોકે તેઓ પોતે પણ બહેરામપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સામે હારી ગયા છે.’