'આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા...' વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાનો હુંકાર

June 23, 2025

ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે, જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 38,904 મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. આ દરમિયાન મત ગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી. અહીં કાર્યકરોએ 'જય ગોપાલ'ના નારા લગાવ્યા હતા. 

વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડ્યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન હતું અને બીજી તરફ હું ગામડે ગામડે ગયો, જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુઃખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે. મારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે.’

ગોપાલ ઇટાલિયાએ યુવાનોને હાકલ કરતાં કહ્યું હતું કે 'યુવાનોને લાગણીભરી વિનંતી છે. મારા વ્હાલા યુવાનો જાગો... ક્યાં સુધી ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટ્રાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું. દોસ્તો આજે એક-એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો હોય એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરે છે. હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું. હે! યુવાનો આગળ આવો, તમારો આત્મા જગાડો, તમારી અંદર ભગવાને જે તાકાત મૂકી છે તેને ઓળખો. આવો સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન લાવવાની અને ગુજરાતને ભાજપના આ ચૂંડાલમાંથી છોડાવવાની લડત લડીએ. મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઇ ચૂક્યા છે. તેની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ આપ્યા  છે.'