શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું, પેટાચૂંટણીમાં પરાજય બાદ મોટો નિર્ણય

June 23, 2025

ગુજરાતમાં આજે વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસને બેમાંથી એકેય બેઠક પર સફળતા ન મળતા શક્તિસિંહ ગોહિલે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષ નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરે ત્યાં સુધી હાલ પૂરતી જવાબદારી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવી છે. 

શક્તિસિંહ ગોહિલે રાજીનામાં બાદ કહ્યું, છે કે 'હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું, આજે કડી અને વિસાવદરમાં અમને સફળતા નથી મળી. મને સતત મદદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, રાહુલ ગાંધી, વેણુગોપાલ અને મુકુલ વાસનીકનો આભાર વ્યક્ત કરું છું. રાજીવજી અને સોનિયાજીએ આપેલું માર્ગદર્શન મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. પેટાચૂંટણીમાં પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.' 

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અંગ્રેજી કહેવત ટાંકતા કહ્યું હતું કે આ દુનિયામાં કશું કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ. તે ચાલ્યા કરે આ વાતને સમજીને મારી કોંગ્રેસ સમિતિના જે જિલ્લા પ્રમુખો બદલાયા છે એમને નમન કરીશ એમણે આ પ્રક્રિયાને સ્વિકારી. 

શક્તિસિંહ ગોહિલે હારનો સ્વિકાર કરતાં કહ્યું હતું કે 'કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ અમારા ખૂબ ખરાબ અને આઘાતજનક છે. આ ચૂંટણીઓ પહેલાં બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા 30 વર્ષથી સત્તા નથી, પણ જે મક્કમતાથી આ ચૂંટણીમાં લડ્યા છે તેમને નમન કરું છું. આ અમારી મૂડી છે અમારા નેતાઓ વેચાયા નથી દબાયા નથી, મક્કમતાથી લડ્યા છે. હાર અને જીત થાય પરંતુ  કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કરે છે. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ લડાઇ તેનો યશ કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું તેની જવાબદારી મેં સ્વિકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે. પરિણામ નથી આવી શક્યું તેની જવાબદારીનો સ્વિકાર કરું છું. આજે જ અત્યારે જ પ્રદેશ પ્રમુખ તરીકેની આજે મારી છેલ્લી પત્રકાર પરિષદ છે.  અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર શૈલેષ પરમારને મારી જવાબદારીનો ભાર સોંપુ છું.'