1984ના શીખ રમખાણ : બે શીખોની હત્યા મામલે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને જન્મટીપની સજા

February 25, 2025

દિલ્હીની કોર્ટે શીખ રમખાણો મામલે આરોપી સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. દિલ્હીના સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યા કરવા મામલે તેમને દોષિત ઠેરવાયા હતા. આ મામલે સજ્જન કુમારને જન્મટીપની સજા ફટકારી છે. રાઉઝ એવન્યૂ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

1984ના શીખ વિરોધી રમખાણોથી સંબંધિત સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યાના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. આ મામલો પહેલી નવેમ્બર-1984નો છે, જેમાં પશ્ચિમ દિલ્હીના રાજનગર વિસ્તારમાં બે શીખો સરદાર જસવંત સિંહ અને સરદાર તરૂણ દીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. તે દિવસે સાંજે લગભગ ચાર વાગ્યે હિંસાખોરોની એક ભીડે લોખંડના સળીયા અને લાકડીઓ લઈને પીડિતોના ઘર પર હુમલો કર્યો હતો.

પોલીસે કોર્ટમાં લેખિત દલીલ કરી હતી કે, આ મામલો નિર્ભયા કેસ કરતાં પણ વધુ ગંભીર છે. નિર્ભયામાં મહિલા હોવાના કારણે તેને ટાર્ગેટ કરવામાં આવી હતી. જ્યારે આ કેસમાં એક વિશેષ સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. 1984માં શીખ સમુદાયના લોકોનું કતલેઆમ માનવતા વિરૂદ્ધ ગુનો છે.