‘રાષ્ટ્રપતિ આદિવાસી હોવાથી રામ મંદિરમાં ન જવા દીધા’

March 08, 2024

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ઝાલોદમાં જાહેરસભા યોજી હતી. જેમાં તેમણે રામ મંદિર, બેરોજગારી, આદિવાસી તેમજ રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં પછાત વર્ગના 50% લોકો, 8% આદિવાસીઓ અને 15% દલીતો રહે છે તેમજ 15% લઘુમતી લોકોના રહે છે, પરંતુ તેમાંથી તમને એક પણ ઉદ્યોગપતિ અને સિનિયર લેવલના અધિકારીઓ જોવા નહીં મળે. ભારતનું બજેટ પણ 90 લોકો બનાવે છે, જોકે તેમાં માત્ર ત્રણ લોકો પછાત વર્ગના, ત્રણ દલીત વર્ગના અને 8 ટકા વસ્તી હોવા છતાં આદિવાસી વર્ગનો એક વ્યક્તિ જ છે. દેશમાં આદિવાસીઓની વસ્તી 8 ટકા હોવા છતાં મંત્રાલયમાં માત્ર ત્રણ લોકોને જ સ્થાન અપાયું છે.

તેમણે કહ્યું કે, ‘દેશમાં વસ્તી ગણતરી થવી જોઈએ, કારણ કે તેનાથી પછાત વર્ગના લોકોને ખ્યાલ આવશે કે, દેશનું ધન કોના હાથમાં છે, તેમની વસ્તી કેટલી વસ્તી, દેશની જુદી જુદી સંસ્થાઓમાં તમારા કેટલાક લોકો છે. આ ઉપરાંત બજેટ વધશે તો પણ તેમાં પછાત વર્ગના લોકોની કેટલી ભાગીદારી છે, તે પણ ખ્યાલ આવી જશે. ગરીબ અને સામાન્ય લોકોને પણ ખ્યાલ આવી જશે કે, તેમની વસ્તી કેટલી છે અને બજેટમાં તેમની કેટલી ભાગીદારી છે. 

તેમણે કહ્યું કે, ‘જ્યારથી મેં વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે, ભારતમાં કોઈ જાતી જ નથી. જો ભારતમાં કોઈ જાતી જ નથી તો તમને પોતાને ઓબીસી કેમ કરી રહ્યા છો. તમે (નરેન્દ્ર મોદી) દરેક ભાષણમાં કહો છો કે, હું ઓબીસી છું. પણ જ્યારે વસ્તી ગણતરીની વાત આવી તો તમારા ઉદ્યોગપતિઓએ તમને કહ્યું કે, ભારતમાં કોઈ જાતી નથી, કોઈ ગરીબ નથી અને કોઈ અમીર નથી. દેશમાં મોટાભાગનું ધન ત્રણ-ચાર લોકોને આપી દેવામાં આવે છે.’

રાહુલે બેરોજગારીનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, ‘ભારતમાં સૌથી વધુ રોજગારી છે. યુવાઓને રોજગારી જ મળતી નથી.’ તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કરી કહ્યું કે, દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આદિવાસી હોવાથી તેમને અયોધ્યા રામ મંદિરમાં જવા ન દીધા. વડાપ્રધાન મોદીની સરકારે દેશના 100 મોટા ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા દેવું માફ કર્યું છે.’

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત સાત જિલ્લામાંથી પસાર થશે અને ચાર દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધી ઝાલોદમાં જાહેરસભા સંબોધ્યા બાદ યાત્રા લીંમડી ખાતે પહોંચશે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક સ્થળોની મુલાકાત કરશે, જેમાં કંબોઈ ધામ, પાવાગઢ મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર , સ્વરાજ આશ્રમ બારડોલીનો સમાવેશ થાય છે.

આઠમી માર્ચ

સવારે આઠ વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા 
દાહોદથી સવારે 10 વાગ્યે લીમખેડા સુધીની યાત્રા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે કાર્યક્રમ  
સવારે 11 વાગ્યે યાત્રા પીપલોદથી શરૂ થશે 
11.30 વાગ્યે પંચમહાલના ગોધરાથી નીકળશે   
બપોરના ભોજન બાદ 2 વાગ્યે હાલોલ જવા નીકળશે
હાલોલમાં પદયાત્રા સાથે બેઠકો અને સ્વાગતનું આયોજન
હાલોલથી યાત્રા પાવાગઢ જશે, જ્યાં રાહુલ ગાંધી દર્શન કરી શકે છે
પાવાગઢથી યાત્રા શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચશે
ન્યાય યાત્રાનું બોડેલી ખાતે રાત્રિરોકાણ
નવમી માર્ચ

સવારે આઠ વાગ્યે બોડેલીમાં પદયાત્રા શરૂ થશે
બોડેલીથી નસવાડી પહોંચ્યા બાદ સ્વાગત અને બેઠક યોજાશે
નસવાડીથી રાજપીપળામાં સ્વાગત, પદયાત્રા, ભોજનનું આયોજન
યાત્રા રાજપીપળાથી કાલાઘોડામાં બેંક ઓફ બરોડા સર્કલ જશે
બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ, જ્યાં 2:30 વાગ્યે બેઠક યોજાશે
10 માર્ચ

સવારે માંડવીમાં યાત્રાનું આગમન
માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત  
બારડોલીમાં સ્વાગત અને બેઠકોનું આયોજન
બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા સુધી યાત્રા
વ્યારામાં પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને બેઠક
વ્યારાથી સોનગઢ, જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે
10 માર્ચે યાત્રા નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે