ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો 'ખેલ' થવાની આશંકા, વિપક્ષી ગઠબંધનના નેતાએ કર્યા NDA ઉમેદવારના વખાણ

August 18, 2025

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને 9 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાનારી ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ મોટા પગલા પછી, શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે તેમને જાહેરમાં અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. જેને લઈને હવે અલગ-અલગ અટકળો ચાલી રહી છે. સંજય રાઉતે એક નિવેદન આપતા કહ્યું કે, 'સી.પી. રાધાકૃષ્ણનનું વ્યક્તિત્વ ખૂબ જ સારું છે, તેઓ વિવાદાસ્પદ વ્યક્તિ નથી અને તેમની પાસે ઘણો અનુભવ છે. હું તેમને શુભકામનાઓ આપું છું.' સાંસદ સંજય રાઉતે જાહેરમાં કરેલા આ વખાણથી એવા સંકેતો મળી રહ્યા છે કે શિવસેના (UBT), જે હાલમાં વિપક્ષના મુખ્ય પક્ષોમાં છે, તે NDA માટે નરમ વલણ અપનાવી શકે છે. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. માં જોડાયેલી તમિલનાડુની મુખ્ય પાર્ટી DMK એક મોટી મૂંઝવણમાં છે. NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન તમિલ છે. જો DMK તેમનો વિરોધ કરશે, તો તમિલનાડુના લોકોની લાગણીઓ વિરુદ્ધ જઈ શકે છે. હવે DMK સામે બે વિકલ્પ છે... એક તો પોતાના I.N.D.I.A. ગઠબંધન સાથે ઊભા રહેવું અને બીજો વિકલ્પ એ કે પ્રાદેશિક લાગણીઓનું ધ્યાન રાખીને રાજકીય સંતુલન જાળવવું. જો DMK અને શિવસેના UBT જેવા પક્ષો NDA ઉમેદવારને ટેકો આપે, તો તે I.N.D.I.A. ગઠબંધન માટે એક મોટો ફટકો સાબિત થઈ શકે છે. NDAએ તેમના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. હવે I.N.D.I.A ગઠબંધન આવતા થોડા દિવસોમાં તેમની રણનીતિ નક્કી કરશે. જોકે, હજુ સુધી વિપક્ષી જૂથમાં કોઈ મોટી ફૂટ પડી હોવાના સમાચાર સામે આવ્યા નથી. તેમ છતાં, ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે જે ઉમેદવારનું નામ આપ્યું છે, તેને ઘણા નિષ્ણાતો એક મોટો રાજકીય દાવ માની રહ્યા છે.