મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષ નેતા બનવા માટે MVAમાં ખેંચતાણ, 18-18 મહિનાના ફોર્મ્યુલાની માંગ

March 04, 2025

મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા (LOP) પદ મેળવવા માટે વિપક્ષી મહા વિકાસ અઘાડીના પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઉત્તર પ્રદેશ), શરદ પવારની NCP-NC અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે. ગયા અઠવાડિયે શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, તેમની પાર્ટી વિધાનસભામાં વિરોધી પક્ષના પદ માટે દાવો રજૂ કરવામાં આવશે. સોમવારે વિધાનસભાના બજેટ સત્રની શરુ થતાની સાથે જ આ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. મહા વિકાસ અઘાડી (MVA) ના કોઈપણ સહયોગી પક્ષે હજુ સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (LoP) પદ માટે ઔપચારિક રુપે દાવો કર્યો નથી, પરંતુ ગઠબંધનના મુખ્ય ઘટક NCP-SP એ કહ્યું કે, કેબિનેટ સ્તરના આ પદ ગઠબંધનના ત્રણેય પક્ષોને વારાફરતી મળવું જોઈએ. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) (NCP-SP) ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે માંગ કરી હતી કે, વિરોધ પક્ષના નેતાનું પદ MVA ના તમામ ઘટકો - તેમની પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના (UBT) ને 18 - 18 મહિના માટે વારાફરતી મળવી જોઈએ.  રાજ્યના પૂર્વ મંત્રી આવ્હાડે કહ્યું, 'અમારુ કહેવું છે કે, વિરોધ પક્ષના નેતાનું પદ ત્રણેય પક્ષોને વારાફરતી 18 મહિના માટે મળવું જોઈએ, જેથી કરીને દરેક પક્ષને રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાની તક મળે. આપણે એક મજબૂત વિપક્ષ તરીકે સાથે રહેવું પડશે. આ NCP(SP) નું વલણ છે.' જોકે, થાણે શહેરના ધારાસભ્ય આવ્હાડે આ વાત પર ભાર આપતાં કહ્યું કે, આ પદ બેસવા માટે પહેલી તક શિવસેના (UBT) ને મળવી જોઈએ, જે 288 સભ્યોની વિધાનસભામાં વિપક્ષી પક્ષોમાં સૌથી વધુ 20 બેઠકો ધરાવે છે. આવ્હાડે કહ્યું કે ત્રણેય પક્ષોના વરિષ્ઠ નેતાઓ એક બેઠક યોજીને આ અંગે નિર્ણય કરવામાં આવશે.  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, વિપક્ષ પાસે વિપક્ષના નેતા પદનો દાવો કરવા માટે પૂરતી સંખ્યા નથી. વિધાનસભામાં શિવસેના (UBT) ના 20, કોંગ્રેસના 16 અને NCP(SP) ના 10 ધારાસભ્યો છે. એક પરંપરા પ્રમાણે વિરોધ પક્ષના નેતા પદનો દાવો કરવા માટે વિરોધ પક્ષ પાસે ગૃહમાં 10 ટકા બેઠકો (28 સભ્યો) હોવી જરૂરી છે.