તમિલનાડુમાં 'થલાપતિ' યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

May 08, 2026

તમિલનાડુમાં નવી સરકારની રચના અંગે ચાલી રહેલી અનિશ્ચિતતાના વાદળો આખરે દૂર થયા છે. TVK (તમિલગ વેટ્ટ્રી કઝગમ) પ્રમુખ વિજયે શુક્રવાર, 8 મે 2026ના રોજ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. 234 બેઠકો ધરાવતી તમિલનાડુ વિધાનસભામાં સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, વિજય પાસે હાલ 121 ધારાસભ્યોનું સમર્થન છે.વિધાનસભા ચૂંટણીમાં TVK 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. સરકાર રચવા માટે કોંગ્રેસના 5 ધારાસભ્યો, CPIના 2, CPI(M)ના 2 અને VCK ના 2 ધારાસભ્યોએ TVK ને સમર્થન જાહેર કર્યું છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે શુક્રવારે મોડી સાંજે વિજયને સરકાર બનાવવાનું સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. વિજય 9 મે, શનિવારના રોજ સવારે 11 વાગ્યે જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક શપથ ગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર રહી શકે છે.


અભિનેતામાંથી નેતા બનેલા વિજયની આ સફરે તમિલનાડુના રાજકારણને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. તેમની પાર્ટીએ યુવાનો, મહિલાઓ અને સામાન્ય જનતા વચ્ચે જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરી છે. રાજ્યની જનતા હવે વિકાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર જેવા મુદ્દાઓ પર નવી સરકાર પાસે મોટી અપેક્ષાઓ રાખી રહી છે. શનિવારનો દિવસ તમિલનાડુ માટે ખરેખર ઐતિહાસિક સાબિત થશે, કારણ કે રાજ્યને એક નવો અને યુવા ચહેરો મુખ્યમંત્રી તરીકે મળવા જઈ રહ્યો છે.