સુરતમાં ખાડી પૂરની ઘાત યથાવતઃ 24 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી, લોકોની સ્થિતિ કફોડી

June 25, 2025

સુરતમાં સોમવારથી શરૂ થયેલી વરસાદી અને ખાડી પૂરની આફત બંધ થવાનું નામ નથી લઈ રહી. સુરતમાં મંગળવારે (25 જૂન)  ખાડી પૂરના પાણી લોકોના ઘર સહિત અનેક વિસ્તારમાં ફરી વળ્યા હતા. બુધવારે 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતા આ ખાડી પૂરના પાણી ઓસર્યા નથી. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની રહી છે.  ભારે વરસાદના કારણે જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીમાં ગઈ કાલથી જ ઘોડાપૂર આવ્યું હતું. ખાડી પૂરના પાણી વરાછા, લિંબાયત અને અઠવા ઝોન સહિત અનેક જગ્યાએ ફરી વળ્યા હતા. અનેક જગ્યાએ આ ભરાયા હતા, જે અંગે મંગળવારે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે ઋષિ વિહાર અને વ્રજ વિહાર તથા નંદનવન સોસાયટીની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં આજે પણ ખાડીના પાણી ભરાયેલા છે અને લોકોની હાલત કફોડી થઈ રહી છે.  આ ઉપરાંત મંગળવારના ખાડીના પાણી સારોલી, સણીયા હેમાદ, સરથાણા પોલીસ સ્ટેશન, કુંભારીયા, પુણા પોલીસ સ્ટેશન લેન્ડમાર્ક ટેક્સટાઇલ માર્કેટથી કડોદરા રોડ અને પર્વત પાટિયા તેમજ માધવ બાગ સહિત અનેક વિસ્તારમાં હજુ પણ છે જે ઉતરવાનું નામ લેતા નથી. આ ખાડી મીંઢોળા નદીમાં મળે છે અને ત્યાર બાદ નદી દરિયામાં મળે છે.