કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે આ તારીખ પછી જન્મેલા લોકોના જન્મ પ્રમાણપત્ર વગર પાસપોર્ટ નહીં બને

March 01, 2025

પાસપોર્ટ એક એવો દસ્તાવેજ છે જેનાથી કોઈ પણ વ્યક્તિની ઓળખ અને તેની નાગરિકતા સાબિત થાય છે. વિદેશ પ્રવાસ માટે આ સૌથી જરૂરી દસ્તાવેજ છે. તેની મદદથી જ તમે અન્ય દેશોમા ફરવાનું, ભણવાનું, બિઝનેસ કે અન્ય કારણોસર મુસાફરી કરી શકો છે. ત્યારે હવે પાસપોર્ટને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટેના નિયમોમાં સુધારો કર્યો છે. નવા સુધારા પ્રમાણે હવે 1 ઓક્ટોબર 2023ના રોજ અથવા તે પછી જન્મેલા અરજદારો માટે સરકાર અને યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે. આ જન્મ પ્રમાણપત્ર વિના જન્મ તારીખ સાચી ગણવામાં આવશે નહીં અને તેના વિના પાસપોર્ટ નહીં બનશે.

કેન્દ્ર સરકાર દ્વારા આ અઠવાડિયે 1980ના પાસપોર્ટ નિયમોમાં સુધારાને અસર કરતી એક સત્તાવાર નોંધ જારી કરવામાં આવી હતી. આ નોંંધ અંગે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સુધારાઓ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ નવા નિયમો લાગુ થઈ જશે.