SIRની કામગીરીનો ટાર્ગેટ પૂરો ન થતાં BLO એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

November 30, 2025

મુરાદાબાદ : ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા 'મતદાર વિશેષ પુનરીક્ષણ અભિયાન'ને કારણે સર્જાયેલા 'પ્રેશર કુકર' જેવી સ્થિતિમાં વધુ એક કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મુરાદાબાદમાં BLO (બૂથ લેવલ ઓફિસર) નું કામ કરતા 45 વર્ષીય શિક્ષક સર્વેશ સિંહ એ રવિવારે સવારે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.


પોલીસને સર્વેશ સિંહના ખિસ્સામાંથી એક ત્રણ પાનાની સ્યૂસાઇડ નોટ મળી છે. બેઝિક શિક્ષા અધિકારીને સંબોધેલા આ પત્રમાં શિક્ષકે સ્પષ્ટ લખ્યું છે કે તે ટાર્ગેટના ટેન્શન અને અધિકારીઓના દબાણ ને કારણે આત્મહત્યા કરી રહ્યા છે.  સર્વેશ સિંહે તેની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે  "રાત-દિવસ કામ કરતો રહ્યો, છતાં SIRનો ટાર્ગેટ હાંસલ કરી શકતો નથી. રાત મુશ્કેલી અને ચિંતામાં કપાય છે. માત્ર 2 થી 3 કલાક જ ઊંઘી શકું છું," સર્વેશ સિંહે પોતાની 4 નિર્દોષ દીકરીઓની ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે મારી બે દીકરીઓની તબિયત ખરાબ છે અને મારે જીવવું હતું, પરંતુ બેચેની અને ગૂંગળામણના કારણે મરવા માટે મજબૂર છું. યુપીમાં SIR અભિયાન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં સાત BLO કર્મચારીઓના મૃત્યુ થયા છે, જેમાંથી ત્રણ કિસ્સા આત્મહત્યાના છે.