ઓટીટીમાં ધાર્યો સોદો ન થતાં 'ઓહ માય ગોડ ટુ' થિયેટરમાં આવશે

May 30, 2023

મુંબઇ : અક્ષય કુમારની 'ઓહ માય ગોડ ટૂ' આખરે થિયેટરમાં જ રીલીઝ કરવાનું નક્કી થયું હોવાનું જાણવા મળે છે. અક્ષયે આ ફિલ્મ સીધી કોઈ ઓટીટી પ્લેટફોર્મને વેચવા બહુ પ્રયાસ કર્યા હતા. પરંતુ, છેલ્લા કેટલાક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ મોટા સ્ટારનું નામ જોઈને મોટી રકમ ચૂકવી દીધા બાદ દાઝ્યાં હોવાથી હવે તેઓ ફિલ્મોની ખરીદીમાં ફૂંકી ફૂંકીને પગલાં ભરે છે. આથી, અક્ષયને ધારી કિંમત ન મળતાં તેણે છેવટે એકવાર થિયેટરમાં રીલીઝ બાદ થોડીઘણી સારી આવક થાય તો ઓટીટી ડીલ કરવાની સ્ટ્રેટેજી અપનાવી છે. હવે ઓટીટી પ્લેટફોર્મ્સ પહેલેથી જ ખાસ ઓટીટી માટે ન બની હોય તેવી ફિલ્મોને ડાયરેક્ટ રીલીઝની તક આપવા તૈયાર થતાં નથી. તેઓ  સર્જકોને પહેલાં ટિકિટબારી પર ફિલ્મની કમર્શિઅલ વેલ્યૂ ચેક કરવા કહે છે. પછી તેના આધારે જ ફિલ્મ માટે કેટલો ભાવ ચૂકવવો તે નક્કી કરે છે. અક્ષય કુમારની ૨૦૧૧ની હિટ ફિલ્મ 'ઓહ માય ગોડ'ની સફળતાના ૧૧ વર્ષ પછી સીકવલ આવવાની છે. 'ઓહ માય ગોડ ટુ'માં તે આ વખતે ભગવાન શિવના રોલમાં જોવા મળવાનો છે. જોકે, ફિલ્મ ઉદ્યોગના વર્તુળો કહે છે કે મૂળ ફિલ્મની સફળતાનો શ્રેય વાસ્તવમાં પરેશ રાવલને ફાળ ેજાય છે. આ ઉપરાંત ફિલ્મની સ્ક્રિપ્ટ પણ એટલી જ મજબૂત હતી.