અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત

May 06, 2025

'ઈન્ડિયન આઈડલ 12' ના વિજેતા સિંગર પવનદીપ રાજન સોમવારે એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. હોસ્પિટલના બેડ પર સારવાર લઈ રહેલા સિંગરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાજ ચાહકો ખૂબ જ ટેન્શનમાં ગયા હતા અને હવે તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ હવે પવનદીપ રાજનની ટીમે સોશિયલ મીડિયા પર એક સત્તાવાર નિવેદન જારી કરીને સિંગરનું હેલ્થ અપડેટ આપ્યું છે. ટીમે જણાવ્યું કે, 'રાજનની હાલત હવે સારી છે. તે ICUમાં છે અને તેના શરીરમાં ઘણા ફ્રેક્ચર છે.' પવનદીપ રાજનની ટીમે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને સિંગરનું હેલ્થ અપડેટ જારી કર્યું છે. પોસ્ટમાં લખ્યું છે કે, 'જેમ કે તમે બધા જાણો છો કે પવનદીપ રાજન 5 મેના રોજ સવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ નજીક એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. તે એક કાર્યક્રમ માટે અમદાવાદની ફ્લાઈટ માટે દિલ્હી જઈ રહ્યો હતો. અકસ્માત બાદ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ બાદમાં તેને દિલ્હી એનસીઆરની એક હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. તેને અનેક ફ્રેક્ચર સાથે ઈજાઓ પહોંચી છે. ટીમે જણાવ્યું કે, સોમવારનો દિવસ રાજનના પરિવાર માટે મુશ્કેલીભર્યો હતો. ગઈકાલનો દિવસ પરિવાર અને તેના બધા શુભેચ્છકો માટે મુશ્કેલ અને પીડાદાયક હતો. તે આખો દિવસ બેહોશ હતો અને પીડાનો સામનો કરતો રહ્યો. જોકે, ઘણી બધી તપાસ અને ડાયગ્નોઝ બાદ તેને સાંજે 7:00 વાગ્યાની આસપાસ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો અને 6 કલાક પછી સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. તે હાલમાં ICU માં છે. 3-4 દિવસના આરામ પછી કેટલાક જરૂરી ઓપરેશન કરવામાં આવશે. ટીમે ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો અને આગળ લખ્યું કે, 'આ તેના બધા ચાહકો, પરિવાર, મિત્રો અને વિશ્વભરના શુભેચ્છકોના આશીર્વાદ અને સમર્થનનું જ પરિણામ છે કે તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. પવનને તમારી પ્રાર્થનાઓમાં રાખવા બદલ આપ સૌનો આભાર.'