સરવેએ ભાજપની ઊંઘ ઊડાડી, યુપીમાં આજે ચૂંટણી થાય તો CM યોગી સામે મોટો પડકાર

August 28, 2026


લખનઉ : ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીઓને લઈને રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. છેલ્લા 9.5 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ સમાજવાદી પાર્ટી (સપા) વચ્ચે રાજકીય સંગ્રામ તેજ બન્યો છે. આ દરમિયાન જનતાનો મૂડ જાણવા માટે એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા સરવેના આંકડા સામે આવ્યા છે. આ સરવેના પરિણામોએ ભાજપના નેતૃત્વ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચિંતા વધારી દીધી છે, જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


આ સરવેમાં જો આજે લોકસભા ચૂંટણી થાય તો કોને કેટલી સીટો મળશે તેનું આકલન કરવામાં આવ્યું છે. કુલ 80 લોકસભા સીટો ધરાવતા ઉત્તર પ્રદેશમાં નવા સરવે મુજબ ભાજપને 34 સીટો મળતી દેખાઈ રહી છે. આ આંકડો ભલે ગત લોકસભા ચૂંટણીની 33 સીટો કરતાં 1 સીટ વધુ હોય, પરંતુ જાન્યુઆરી માસમાં થયેલા સરવેની સરખામણીએ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.  જાન્યુઆરીના સરવેમાં ભાજપને 44 સીટો મળવાનું અનુમાન હતું. એટલે કે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ ભાજપને 10 સીટોનું સીધું નુકસાન થતું જણાય છે. ભાજપના સહયોગી દળોને 4 સીટો મળવાની ધારણા છે, છતાં એનડીએ બહુમતીના આંકડાથી પાછળ રહી જાય છે.


બીજી તરફ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના 'ઇન્ડિયા' ગઠબંધન માટે આ સરવે ખુબ ઉત્સાહજનક રહ્યો છે. નવા આંકડા અનુસાર ઇન્ડિયા ગઠબંધનને 41 સીટો મળતી દેખાઈ રહી છે, જે બહુમતી કરતાં વધુ છે. આ ગઠબંધનમાં સપાને 30 સીટો અને કોંગ્રેસને 11 સીટો મળવાનું અનુમાન દર્શાવાયું છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના સરવેમાં સપાને 29 અને કોંગ્રેસને માત્ર 2 સીટો મળવાની શક્યતા હતી. આમ 6 મહિનામાં કોંગ્રેસને 9 સીટો અને સપાને 1 સીટનો ફાયદો થયો છે. આંકડાકીય દ્રષ્ટિએ આ સરવેનું મોટું મહત્ત્વ છે કારણ કે બંને પક્ષોએ આગામી ચૂંટણી સાથે મળીને લડવાનું એલાન કર્યું છે.


ઉત્તર પ્રદેશથી જ દિલ્હીની સત્તાનો માર્ગ નક્કી થાય છે તે માન્યતા મુજબ આ પરિણામો આગામી રાજકીય સમીકરણો બદલી શકે છે. ગત ચૂંટણીમાં સપા અને કોંગ્રેસે ભાજપના એકચક્રી શાસનને મોટો ઝટકો આપ્યો હતો. હવે ફરી એકવાર વિપક્ષી ગઠબંધન એનડીએ કરતાં આગળ નીકળતું દેખાતા ભાજપ માટે નવી વ્યૂહરચના બનાવવી અનિવાર્ય બની ગઈ છે. આ સરવે સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઈ રહ્યો છે અને વિપક્ષ આ આંકડાઓને પોતાની તરફેણમાં જનતાનો કૌલ ગણાવી રહ્યો છે.