દેશમાં ખાંડની અછત નથી, નવા સ્ટોકથી આગામી દિવસોમાં ભાવ ઘટવાની ISMAની આશા

August 25, 2026

છેલ્લા કેટલાક સપ્તાહથી છૂટક અને જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ વધતાં સામાન્ય લોકોના બજેટ પર અસર પડી છે. તહેવારોની સીઝન પહેલાં ચાથી લઈને મીઠાઈ સુધીના ભાવ વધવાની ચિંતા વચ્ચે ઈન્ડિયન શુગર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સરકારે રાહતની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ISMA મુજબ દેશમાં ખાંડની કોઈ માળખાકીય અછત નથી અને હાલ ભાવમાં થયેલો વધારો કામચલાઉ છે. તહેવારો દરમિયાન અચાનક વધેલી માંગ, ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો, હવામાનની અસર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં 16% જેટલો વધારો તેની પાછળના મુખ્ય કારણો છે. કેટલાક વેપારીઓની સંગ્રહખોરીને કારણે બજારમાં કૃત્રિમ અછત ઊભી થઈ હોવાનું પણ ISMAએ કહ્યું છે.

ISMAએ ખાંડના ભાવ વધવા પાછળ ઈથેનોલ મિશ્રણ કાર્યક્રમ જવાબદાર હોવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. સંસ્થા મુજબ ઈથેનોલના કુલ ઉત્પાદનમાં 75% હિસ્સો અનાજમાંથી આવે છે. બજારમાં સ્થિરતા જાળવવા સરકારે 10 લાખ મેટ્રિક ટન શુલ્કમુક્ત કાચી ખાંડની આયાતને મંજૂરી આપી છે. સંગ્રહખોરી અટકાવવા વેપારીઓ માટે સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે અને જીએસટી તથા ભૌતિક સ્ટોકની સાપ્તાહિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ISMAએ ડીલરો માટેની સ્ટોક મર્યાદા 400 ટનથી ઘટાડીને 200 ટન કરવાની ભલામણ કરી છે.

નવા પિલાણ સત્રને 10થી 15 દિવસ વહેલું શરૂ કરવા માટે પણ કામગીરી ચાલી રહી છે. તામિલનાડુ અને કર્ણાટકમાં વિશેષ પિલાણ શરૂ થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં 4 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે, પરંતુ ઓક્ટોબર 2026માં આ આંકડો વધીને 10 લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે. બજારમાં નવો સ્ટોક પહોંચ્યા બાદ ખાંડના ભાવ સામાન્ય થવાની અને લોકોને મોંઘવારીમાંથી મોટી રાહત મળવાની ISMAને આશા છે.