ઉત્તર ભારતમાં વરસાદનું તાંડવ : હિમાચલમાં ખાણ ધસતા 3 કામદારો દટાયા, કોટદ્વારમાં મકાન ધરાશાયી થતા બાળક સહિત 2ના મોત

August 19, 2026

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મેઘરાજાએ તબાહી મચાવી છે. ઉત્તરાખંડના કોટદ્વારમાં ભારે પર્વતીય કાટમાળ ધસી પડવાને કારણે એક મકાન ધરાશાયી થતાં બે વર્ષના બાળક અને એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે કેદારનાથ ટ્રેકિંગ રૂટ પર પથ્થર પડવાથી દિલ્હીની એક મહિલા શ્રદ્ધાળુનું પણ મૃત્યુ થયું છે. હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદીનું પાણી ચેતવણી રેખાને વટાવી ગયું છે.

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે ચૂનાના પથ્થરની એક ખાણ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ત્રણ કામદારો ગંભીર રીતે દટાઈ ગયા છે. આ ઉપરાંત લાહૌલ સ્પિતિમાં ત્રણ અલગ અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની છે, જેનાથી અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે અને નીલકંઠ યાત્રા પર ગયેલા યાત્રાળુઓના વાહનો ફસાઈ ગયા છે. ઉત્તરાખંડમાં પણ સતત વરસાદને કારણે ઘણી નદીઓ તોફાની બની છે.

દહેરાદૂનમાં સ્વરાણા નદીનું જળસ્તર અચાનક વધી જવાથી યુપીઇએસ યુનિવર્સિટીના છ વિદ્યાર્થીઓ નદીની વચ્ચે ફસાઈ ગયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમે સમયસર બચાવ કામગીરી હાથ ધરીને દોરડાની મદદથી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હવામાન વિભાગે બુધવારે દહેરાદૂન અને બાગેશ્વરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે તંત્ર એલર્ટ મોડ પર છે.