કરુણાંતિકા: મહાકુંભથી પરત આવતી બસનો અકસ્માત, સાત શ્રદ્ધાળુઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા

February 11, 2025

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભથી પરત આવી રહેલી બસ સાથે મધ્ય પ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે. જબલપુરમાં સિહોરા પાસે બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં સાત લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણકારી મળતાં તુરંત જ કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. જે બસ સાથે અકસ્માત થયો તે સિહોરા પાસે પ્રયાગરાજથી પરત આંધ્રપ્રદેશ તરફ જઈ રહી હતી. મળતી માહિતી અનુસાર, નેશનલ હાઈવે 30 પર વહેલી સવારે 9:15 વાગ્યાની આસપાસ મોહલા બરગી વચ્ચે નહેર પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રક અને ટ્રાવેલર બસ એકબીજા સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. અકસ્માત બાદ ઘટનાસ્થળે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. સમગ્ર મામલે હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા તમામ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.