Breaking News :

બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ લાગતાં ફસાયેલા 27 લોકોના કરૂણ મોત, વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ

July 13, 2026

થાઈલેન્ડની રાજધાની બેંગકોકના ઉત્તર ભાગમાં આવેલા ના લાદપ્રાઓ પબમાં સોમવારે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે ભયાનક આગ લાગતા 27 લોકોના કરૂણ મોત થયા છે. આગ એટલી ઝડપથી પ્રસરી કે અંદર રહેલા લોકોને બહાર નીકળવાની તક જ ન મળી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા અનેક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લઈ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે અને સુરક્ષા વ્યવસ્થામાં થયેલી બેદરકારીને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલાની કડક તપાસનો આદેશ આપ્યો છે.

ઘટના સમયે પબમાં હાજર એક સંગીતકારના જણાવ્યા અનુસાર, સ્ટેજ પાસે આવેલા સર્કિટ બ્રેકરમાંથી અચાનક ધુમાડો નીકળવાની શરૂઆત થઈ હતી. ગણતરીની સેકન્ડોમાં જ સમગ્ર પબની વીજળી ડૂલ થઈ ગઈ હતી અને એક જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકાની સાથે જ પબમાં ચારેતરફ કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો અને જોતજોતામાં આખી ઇમારત આગની લપેટમાં આવી ગઈ હતી.

આગ અને ધુમાડાથી બચવા માટે પબમાં હાજર લોકો પાછળના ભાગમાં આવેલા શૌચાલય તરફ દોડ્યા હતા, જ્યાં સૌથી વધુ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ફાયર બ્રિગેડના જવાનોને આ શૌચાલયમાંથી જ સૌથી વધુ મૃતદેહો મળી આવ્યા હતા. પાછળના ભાગેથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોવાથી લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા અને શ્વાસ રૂંધાવાથી તેમજ ગંભીર રીતે દાઝી જવાના કારણે તેમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

આ કરુણાંતિકા ઉત્તર પ્રદેશના લખનઉમાં બનેલી ઘટનાની યાદ અપાવે છે, જ્યાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગતા પાછળના ભાગે ફસાયેલા 15 વિદ્યાર્થીઓના નિકાસ દ્વાર ન હોવાને કારણે મોત થયા હતા. થાઈલેન્ડની ક્લબોમાં સુરક્ષાના નિયમોની અવગણનાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. અગાઉ વર્ષ 2022માં એક પબમાં લાગેલી આગમાં 14 લોકોના જીવ ગયા હતા. આ ઉપરાંત, 1 જાન્યુઆરી 2009ના રોજ એક ક્લબમાં નવા વર્ષની આતિશબાજીના કારણે લાગેલી આગમાં 66 લોકો મૃત્યુ પામ્યા હતા.