અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ હીરો મનજોત કાલરા શ્રીલંકામાં ગિરફ્તાર, ખેલાડીને ફિક્સિંગ માટે લાલચ આપ્યાનો આરોપ

July 18, 2026

ભારતને વર્ષ 2018નો અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ ક્રિકેટર મનજોત કાલરાની શ્રીલંકામાં ધરપકડ કરવામાં આવી છે. હાલમાં રમાઈ રહેલી લંકા પ્રીમિયર લીગમાં જાફના કિંગ્સના સહ-માલિક બનેલા 27 વર્ષીય મનજોત કાલરા પર એક ખેલાડીને મેચ ફિક્સિંગ માટે લાલચ આપી ઉશ્કેરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. રમતગમતના ગુનાઓની તપાસ કરતી શ્રીલંકા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટે શુક્રવારે આ કાર્યવાહી કરી હતી.

ધરપકડ બાદ મનજોત કાલરાને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 31 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં યુવરાજ પુષ્પા નામના અન્ય એક ભારતીય નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે તેને પણ મનજોત સાથે જ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. આ ઘટનાને પગલે રમતગમત જગતમાં ચકચાર મચી ગઈ છે.

આ મોટી કાર્યવાહી બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાની લંકા પ્રીમિયર લીગ પર કોઈ અસર નહીં પડે અને ટૂર્નામેન્ટ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ ચાલુ રહેશે. બોર્ડે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપતાં જણાવ્યું છે કે ક્રિકેટમાં કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર કે ગેરરીતિને ચલાવી લેવામાં આવશે નહીં. લીગની ઈમાનદારી જળવાઈ રહે તે માટે એન્ટિ-કરપ્શન યુનિટ સતત પોલીસ સાથે મળીને કામ કરી રહી છે.

મનજોત કાલરાએ વર્ષ 2018ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર સદી ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે બાદમાં એજ ફ્રોડના કેસમાં ફસાવાને કારણે તેની ક્રિકેટ કારકિર્દી બગડી ગઈ હતી અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ પણ મૂકાયો હતો. ક્રિકેટમાંથી દૂર થયા બાદ તેણે સ્પોર્ટ્સ બિઝનેસ શરૂ કર્યો અને આ વર્ષે જ LPLની જાફના કિંગ્સ ફ્રેન્ચાઇઝી ખરીદીને તેનો સહ-માલિક બન્યો હતો, પરંતુ હવે ફિક્સિંગ માટે ઉશ્કેરવાના આરોપને પગલે તે જેલના સળિયા પાછળ પહોંચ્યો છે.