સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર, જોડિયામાં 7 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ, ખેડૂતો રાજી રાજી

June 23, 2025

સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘડીક સૂર્યનારાયણ તપી જતાં અસહ્ય બફારો, તો ઘડીક વરસાદ વરસી જવાથી ઠંડક અનુભવાઈ હતી. જેમાં સૌથી વધુ જામનગરના જોડિયામાં સાંબેલાધારે 7 ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. જ્યારે કાલાવડ, કેશોદ અને ઘેડ પંથકમાં પાંચ ઈંચ તો પડધરી, મેંદરડા, માણાવદર, કુતિયાણામાં ધોધમાર ચાર ઈંચ મેઘકૃપા વરસી હતી.

જામનગર શહેરમાં રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી ધીમીધારે છાંટા શરૂ થયા હતા, ત્યાર બાદ ધીમી ધારે રાત્રે 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કાલાવડ પંથકમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ પડી ગયો હતો. નદી નાળાઓમાં પૂર આવ્યા હતા. જોડીયામાં સૌથી વધારે બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં મુશળધાર 7 ઇંચ વરસાદ તૂટી પડયો હતો. આ ઉપરાંત જામજોધપુરમાં 2.5 ઈંચ, લાલપુરમાં 2 ઈંચ, ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

પોરબંદર જિલ્લામાં અંતે ચોમાસુ સક્રિય થયું હોય તેમ રવિવારે દિવસભર વરસાદ વરસ્યો હતો. પોરબંદર શહેર અને તેની આસપાસના વિસ્તારમાં પણ મોડી સાંજ સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જો કે, સૌથી વધુ માધવપુર ઘેડ અને તેની આજુબાજુના ઘેડ પંથકના વિસ્તારમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદરથી માધવપુર સુધીની દરિયાઈ પટ્ટી પર 4થી 5 ઈંચ વરસાદ વરસતા અનેક ગામડાઓના ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

જૂનાગઢ જિલ્લામાં 1થી 5 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. સૌથી વધુ કેશોદમાં 5 ઈંચ પડેલા વરસાદના કારણે ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું. એ જ રીતે મેંદરડામાં પણ 4 ઈચ ધોધમાર મેઘકૃપા વરસી હતી. જૂનાગઢ શહેરમાં 2 ઈંચ, માણાવદરમાં 2 ઈંચ, વંથલીમાં અઢી ઈંચ, વિસાવદરમાં 2 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ, માળિયામાં 2.5 ઈંચ, ભેંસાણમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર સિઝનનો પ્રથમવાર 3 ઈંચ વરસાદ પડતા પર્વત પરથી ધીમી ધારે ઝરણાઓ વહેતા થયા હતા.