સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ

May 06, 2026

પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને નવા મુખ્ય પ્રધાન તેમજ મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજ્યના ઉત્તર 24 પરગણાના સંદેશખાલી વિસ્તારમાં સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવેલા આ ગોળીબારમાં ત્રણ પોલીસકર્મી અને કેન્દ્રીય સુરક્ષા દળના બે જવાનો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

નાઝત પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સરબેરિયા-અગરતી ગ્રામ પંચાયતના બામનઘેરી વિસ્તારમાં આ ગોળીબારની ઘટના બની હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર નાઝત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર, રાજબારી આઉટપોસ્ટના એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મહિલા પોલીસ અધિકારીને ગોળી વાગી હતી. આ હુમલામાં કેન્દ્રીય દળના બે કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હરીફ રાજકીય જૂથો વચ્ચે અથડામણ થઈ રહી હતી ત્યારે સુરક્ષા દળો તેને રોકવા ગયા હતા અને તે દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ક્રૂડ બોમ્બ અને હથિયારો પણ મળી આવ્યા છે. આ હુમલા પાછળ કોનો હાથ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

હાલમાં સંદેશખાલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વધારાના સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. હુમલા માટે જવાબદાર તોફાની તત્વોને ઓળખવા અને તેમને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સત્તા પરિવર્તનના આ ટાણે બનેલી હિંસાની ઘટનાને પગલે રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી છે.