પતિ સાથે રહેવાની ના પાડનારી પત્ની પણ ભરણ-પોષણ મેળવવા માટે હકદાર: સુપ્રીમ કોર્ટ

January 12, 2025

દિલ્હી : સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, સાથે રહેવાના આદેશનું પાલન ન કરવાની સ્થિતિમાં પણ પત્ની પોતાના પતિ પાસેથી ભરણ-પોષણ મેળવી શકે છે, પરંતુ મહિલાની પાસે પતિની સાથે ન રહેવાના યોગ્ય અને જરૂરી કારણ હોવા જોઈએ.
CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે આ પ્રશ્ન પર કાનૂની વિવાદનો ઉકેલ લાવ્યો કે શું વૈવાહિક અધિકારો ફરી આપવાના આદેશ મેળવનારા પતિ કાયદા અનુસાર, પત્નીને ભરણ-પોષણ આપવાથી મુક્ત થઈ જાય છે, જો તેમની પત્ની સાથે રહેવાના આદેશનું પાલન કરવા અને સાસરે પરત ફરવાની ના પાડે છે. જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે ઝારખંડ હાઈકોર્ટના ઓગસ્ટ 2023ના ચુકાદાને ફગાવી દીધો. જેમાં મહિલાને ભરણ-પોષણ આપવાની ના પાડી દેવાઈ હતી. કારણ કે, તે મહિલા વૈવાહિક અધિકારો પરત કરવાના આદેશ છતા પોતાના પતિ સાથે રહેવા ન આવી. કોર્ટમાં એવા તથ્ય રાખવામાં આવ્યા હતા કે, પતિ સતત પોતાની પત્નીની સાથે ખરાબ વલણ કરતો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેની(પતિ) પાસે ન આવવાનું કારણ ખુબ યોગ્ય હતું. કોર્ટે પતિને નિર્દેશ આપ્યો કે તેઓ ઓગસ્ટ 2019માં અરજી કરવાના દિવસથી ભરણ-પોષણની ચૂકવણી કરે.