10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ

July 27, 2025

ગાજિયાબાદ : ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ કરાયા બાદ રોજબરોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ કહ્યું કે, હર્ષવર્ધનના બી-35 કવિનગરના મકાનમાંથી દસ્તાવેજ જપ્ત કરાયા છે, જેમાં ભેજાબાજે એહસાન અલી સૈયદ સાથે મળીને વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી હોવાનો અને અનેક બેંક એકાઉન્ટ ધરાવતો હોવાનો ખુલાસો થયો છે. હર્ષવર્ધનના વિદેશમાં અનેક એકાઉન્ટ હોવાનો, 10 વર્ષમાં 162 વખત વિદેશ યાત્રા કરી હોવાની પણ માહિતી સામે આવી છે. હર્ષવર્ધનને કસ્ટડી રિમાન્ડ લેવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી છે અને આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરાશે.


ઉત્તર પ્રદેશની એટીએફે જણાવ્યું છે કે, હર્ષવર્ધન 300 કરોડથી વધુના કૌભાંડમાં સામેલ છે, જેની તપાસ ચાલી રહી છે. તેણે વિદેશમાં લોન આપવાના નામે કૌભાંડ કર્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક કૌભાંડની પણ તપાસ ચાલી રહી છે. એસટીએફના દાવા મુજબ હર્ષવર્ધન હવાલાનો અને લાયઝનિંગના ધંધાનો ખેલાડી હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. જાણીતા વ્યક્તિ ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનની મુલાકાત સાઉદીમાં હથિયારોના ડિલર અદનામ ખગોશી તથા લંડનમાં એહસાન અલી સૈયદ સાથે કરાવી હતી.


હૈદરાબાદનો રહેવાસી એહસાન અલી સૈયદ પાસે તુર્કેઈની નાગરિકતા છે. ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનને સૈયદ સાથે લંડન મોકલ્યો હતો. બંનેએ ભેગા મળી લંડનમાં અનેક શેલ કંપનીઓ ઉભી કરી હતી. આ મામલે તપાસ કરી રહેલી એસટીએફને કેટલાક દસ્તાવેજ હાથ લાગ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 25થી વધુ કંપનીઓ ઉભી કરી હોવાનો અને કંપનીઓનો ડેટા પણ હર્ષવર્ધન પાસે હોવાની વિગતો સામે આવી છે.