ઉત્તરપ્રદેશ, બંગાળ અને બિહારમાં વરસાદ-આંધીનો કહેર, 26 લોકોના મોત

May 30, 2026

દેશમાં ઘણાં રાજ્યોમાં આંધી અને વરસાદની સ્થિતિ રહી હતી, તો ઘણાં રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચો રહેતા ગરમીથી કોઈ રાહત મળી ન હતી. પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને તીવ્ર હવા ફૂંકાઈ હતી. જુદી જુદી ઘટનામાં આ રાજ્યોમાં 26 લોકોનાં મોત થયા હતા. પાટનગર દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીથી થોડી  રાહત મળી હતી. હરિયાણા અને પંજાબમાં પણ તાપમાન ઘટયું હતું. જોકે, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારો અસહ્ય તાપમાં શેકાયા હતા.

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડયો હતો. રાજ્યમાં છ લોકોના વીજળી પડવાથી કે વરસાદના અકસ્માતોથી મોત થયા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે અલગ અલગ જિલ્લામાં આ ઘટનાઓ બની હતી. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું. બિહારમાં પણ વીજળી પડવાથી સાત લોકોનાં મોત થયા હતા. બિહારના સીએમ સમ્રાટ ચૌધરીએ ચાર લાખના વળતરની જાહેરાત કરી હતી. સરકારે વરસાદ અને વીજળીની ચેતવણી હોય ત્યારે બહાર ન નીકળવાની ભલામણ કરી હતી.

ઉત્તર પ્રદેશમાં એક તરફ તેજ હવા સાથે ભારે વરસાદ પણ નોંધાયો હતો, તો બીજી તરફ અમુક વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૭ને ડિગ્રીને પાર પહોંચી ગયો. ઉત્તર પ્રદેશમાં આંધી સાથે વરસાદ પડતાં એક મકાનમાં આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. જર્જરિત મકાનમાં ઊંઘ કરી રહેલા બે બાળકો અને તેમની માતા સહિત ચારનો મોત થયા હતા. હમીરપુર જિલ્લામાં બેતવા રિવર પર બની રહેલા બ્રિજમાં કામ કરી રહેલા છ મજૂરોના પણ તેજ હવાના કારણે બાંધકામ પડી જતાં મોત થયા હતા. આ ઘટનામાં એક આસિસ્ટન્ટ એન્જિનિયરને બેદરકારી બદલ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો હતો. સાઈટમાં કામ કરી રહેલા મજૂરોના મોત થયા છે તેમના પરિવારજનોને પાંચ લાખનું વળતર ને ઈજાગ્રસ્તોને 50 હજારનું વળતર આપવાની યુપી સરકારે જાહેરાત કરી હતી. યુપીના જાલૌનમાં પણ બેનાં મોત વરસાદના કારણે થયા હતા.