એક જ પરિવારના 5 યુવકો નદીમાં ડૂબ્યાં, ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તેલંગાણામાં મોટી દુર્ઘટના

June 15, 2025

નિર્મલ : તેલંગાણાના નિર્મલ જિલ્લાના બસરમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ગોદાવરી નદીમાં નહાવા પડેલા પાંચ યુવકોના ડૂબ જવાથી મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. પાંચેય યુવકો એકજ પરિવારના હોવાનું જણાય છે, જેઓ હૈદરાબાદના ચિંતલના રહેવાસી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને યુવકોના મૃતદેહને પીએમ અર્થે ભૈંસા સરકારી હોસ્પિટલ ખાતે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
ગોદાવરી નદી કિનારે સરસ્વતી માતાનું પ્રચીન મંદિર આવેલું છે. બાળકોને ભણાવતા પહેલા અહીં તેમને અક્ષરાભિષેક માટે લાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, બાળકોના જીવનનો પહેલો અક્ષર અહીં લખાવાથી તેમનું શૈક્ષણિક જીવન હંમેશા માટે સફળ રહે છે. આ કારણે હૈદરાબાદના 3 પરિવારોના 18 સદસ્ય આ ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા હતા. 


પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંદિરમાં દર્શન પહેલાં યુવકો ધાર્મિક વિધિના ભાગરૂપે ગોદાવરી નદીમાં પવિત્ર સ્નાન કરવા ગયા હતા. નદીની ઊંડાણ વાળીએ જગ્યાએ પહોંચી જવાથી એક જ પરિવારના 5 યુવકો નદીમાં ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં હૈદરાબાદના રાકેશ, વિનોદ, મદન, રુતિક અને ભરત નામના પાંચેયના ડૂબવાથી મોત નીપજ્યા છે. બધા યુવકો 20 વર્ષથી ઓછી ઉંમરના હતા. 
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરીને યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઉપરવાસમાં તાજેતરમાં થયેલા વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હોવાથી પાંચેય યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જ્યારે તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.