Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

June 12, 2026

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાળ ગામમાંથી વન્ય પ્રાણીના હુમલાની એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘંટીયાળ ગામની સીમમાં આવેલી પારસ સોજીત્રા નામના ખેડૂતની વાડીએ સિંહણે એક માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ 7 વર્ષના બાળકને ખેતરમાં દૂર સુધી ઢસડી ગઈ હતી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક બાળક અહીં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોમાં વન વિભાગ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પરિવારે બાળકના શબને સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.


સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, વન્ય પ્રાણીઓના આતંકની આ કોઈ પ્રથમ ઘટના નથી. એકલા ઘંટીયાળ ગામે જ વન્ય પ્રાણી દ્વારા હુમલો કરાયો હોય તેવી આ ત્રીજી ઘટના છે. જ્યારે સમગ્ર બગસરા પંથકની વાત કરીએ તો, અત્યાર સુધીમાં વન્ય પ્રાણીઓના હુમલાની કુલ 22 જેટલી નાની-મોટી ઘટનાઓ ઘટી ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ કોઈ નક્કર પગલાં ભરતું ન હોવાથી રોજબરોજ નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.


આ કરુણ ઘટના બાદ મૃતક બાળકના પરિવારે અને સ્થાનિક આગેવાનોએ વન વિભાગ સામે આરપારની લડાઈ આદરી છે. તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતા આક્રોશપૂર્વક જણાવ્યું છે કે, "જ્યારે પણ વન્ય પ્રાણીઓ હુમલો કરીને કોઈનો જીવ લે છે, ત્યારે વન વિભાગના અધિકારીઓ માત્ર ઘટનાસ્થળે આવીને ઠાલા આશ્વાસનો આપીને જતા રહે છે. પરંતુ હવે પાણી માથા પરથી ગયું છે." પરિવારે માંગ કરી છે કે રાજ્યના વનમંત્રી પોતે અહીં આવે અને લેખિતમાં ખાતરી આપે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ક્યારેય નહીં બને, ત્યાર બાદ જ તેઓ બાળકના શબનો સ્વીકાર કરશે.