ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના પાંચ લોકોના મોત

August 01, 2025

મેનપુરી : ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાના બેવર નગરમાં આજે (1 ઓગસ્ટ) ભયાનક અકસ્માત થયો છે. અહીં ફરૂખાબાદ રોડ પર પુરઝડપે દોડી રહેલા ટ્રકે કારને હવામાં ફંગોળતા એક જ પરિવારના પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘટનામાં મૃતકોમાં એક પુરુષ, બે મહિલા અને બે બાળકીઓ સામેલ છે. ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે.
મળતી માહિતી મુજબ કારમાં સવાર પરિવાર ફરૂખાબાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતા ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલીક જાણ કરતાં પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. 


ઘટનાસ્થળે પહોંચેલી પોલીસની ટીમે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘટના બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે, જેની પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. મેનપુરી પોલીસ અધિક્ષકે કહ્યું કે, ટ્રક પુરપાટ ઝડપે દોડી રહ્યું હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે.