જો આરોપ સાબિત થાય તો કોચ ગંભીર પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો ICCનો નિયમ

July 30, 2025

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ પહેલા ઓવલની પિચ ક્યુરેટર લી ફોર્ટિસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફોર્ટિસે ગૌતમ ગંભીરની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જો કે, એ પછી તેમણે કહ્યું હતું કે, તેઓ આ મામલો આગળ નહીં લઈ જાય. પરંતુ હવે સવાલ એ છે કે, જો ફોર્ટિસે ગૌતમ ગંભીર સામે ફરિયાદ કરી હોત તો ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને શું સજા આપવામાં આવત? જો ગૌતમ ગંભીર દોષિત ઠર્યા હોત, તો તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી હોત? આવો તમને જણાવીએ કે આ અંગે ICCના નિયમ શું છે. જો ગૌતમ ગંભીર પિચ ક્યુરેટર લી ફોર્ટિસ સાથેના વિવાદના કેસમાં આરોપ સાબિત થાય તો, ICC આચારસંહિતા હેઠળ તેમને સજા થઈ શકે છે. જોકે, આ સજા તેમના નિયમ ઉલ્લંઘનની ગંભીરતા પર નિર્ભર કરે છે. નિયમ પ્રમાણે જો ICCને લાગે કે, ગૌતમ ગંભીરનું ઉલ્લંઘન વધુ ગંભીર નથી, તો તેમને ઔપચારિક ચેતવણી આપીને છોડી શકાય છે. પરંતુ જો ICCને એવુ લાગે કે ગંભીરનું  ઉલ્લંઘન વધુ ગંભીર છે, તો તેમની મેચ ફી કાપી શકવામાં આવે છે. ગૌતમ ગંભીરના કિસ્સામાં તેમનો વ્યવહાર આક્રમક હતો અને તેમણે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો, જેથી તેમના પર દંડ લગાવી શકાય છે.  જો ICC ગૌતમ ગંભીરના વર્તનને લેવલ 2 અથવા લેવલ 3 પ્રમાણે ઉલ્લંઘન માને છે, તો તેમને એક અથવા વધુ ટેસ્ટ મેચ અથવા વનડે -T20 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. ઉપરાંત જો મેચ રેફરી ફોર્ટિસ ECB સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવે છે, તો ICC ની શિસ્ત સમિતિ તપાસ કરશે અને ગૌતમ ગંભીર, ફોર્ટિસ અને અન્ય સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી શકે છે અને એ પછી જ આ કાર્યવાહી કરવામાં આવશે.