'એક દેશ નથી ઇચ્છતો કે આતંકવાદ પર વાત થાય', જયશંકરે પાકિસ્તાનની ખોલી પોલ

June 27, 2025

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે ચીનમાં યોજાયેલી SCO બેઠકમાં સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો. રાજનાથ સિંહના આ પગલાંને વિદેશ મંત્રી એસ. જયશંકરે યોગ્ય ઠેરવ્યું છે. એસ જયશંકરે શાંઘાઈ કો-ઓપરેશન ઑર્ગેનાઇજેશન(SCO)ના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર ન કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે SCOના સભ્ય દેશ સંયુક્ત નિવેદનમાં આતંકવાદનો કોઈ ઉલ્લેખ ઇચ્છતા નથી, જ્યારે સંગઠન આતંકવાદ સામે લડવાના ઉદ્દેશ્યથી રચાયું હતું. જ્યારે એક દેશ આતંકવાદ પર વાત કરવા માગતો નથી.

વિદેશ મંત્રી એસ. જયશંકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદ સામે લડવાનો છે અને તમે તેનો ઉલ્લેખ કરવા માગતા નથી. જેથી રાજનાથ સિંહ દ્વારા તેનો અસ્વીકાર યોગ્ય નિર્ણય છે. એક દેશ છે જે આતંકવાદ પર વાત કરવા પણ માગતું નથી. જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ કટાક્ષ કરતાં કહ્યું કે, તમે અંદાજ લગાવી શકો છો કે, તે કયો દેશ છે? SCO સર્વસંમતિથી ચાલે છે. જો નિવેદનમાં આતંકવાદનો ઉલ્લેખ નથી. તો અમે તેના પર હસ્તાક્ષર કરીશુ નહીં.


ચીનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઑર્ગેનાઇજેશનના સંમેલનમાં ભાગ લેવા ગયેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે તેના સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે આતંકવાદ સંબંધી ચિંતાઓ પર ખાસ કરીને 22 એપ્રિલના રોજ પહલગામ આતંકી હુમલામાં 26 લોકોની હત્યાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મોટાભાગના પર્યટક હતા. જેથી SCOના નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો હતો.