કોટામાં રાવણ દહન પહેલાં મોટી દુર્ઘટના, ક્રેનથી ઉપાડવા જતાં દશાનનનું પૂતળું ધરાશાયી

October 12, 2024

દશેરાના દિવસે દેશભરમાં રાવણ દહન કરવામાં આવે છે. ત્યારે રાજસ્થાનના કોટામાં પણ રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. પરંતુ દશેરાના એક દિવસ પહેલા અહીં એક અકસ્માત સર્જાયો હતો. ક્રેનની મદદથી કોટામાં રાવણના પૂતળા ઊભો કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન 12-15 ફૂટની ઉંચાઈથી પૂતળું ધરાશાયી થયું હતું. જોકે આ દુર્ઘટના કોઈ જાનહાની થઈ નથી.

અહેવાલો અનુસાર, કોટામાં એક મહિનાની મહેનતથી રાવણનું 80 ફૂટનું પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. શુક્રવારે (11મી ઓક્ટોબર) રાત્રે લગભગ 9.30 કલાકે પૂતળાઓ લગાવવામાં આવી રહ્યા હતા. રાવણના પૂતળાને ક્રેનની મદદથી ઊંચકવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન ક્રેન સાથે બાંધેલો પટ્ટો તૂટતા પૂતળું પંડાલ પર ધરાશાયી થયું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, દિલ્હીથી આવેલા કારીગરોએ પૂતળું બનાવ્યું હતું. રાવણ દહન આજે (12 ઓક્ટોબર) થવાનું છે. તે પહેલા કારીગરો પુતળાના સમારકામ માટે ભારે પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વધુ વજનના કારણે ક્રેનનો પટ્ટો તૂટી ગયો હતો. જો કે આ પહેલા મેઘનાથ અને કુંભકરણના પૂતળા લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ કોટા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.