પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, ઇસ્લામાબાદ પર ડ્રોનથી હુમલો

February 28, 2026

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. શુક્રવારે, અફઘાનિસ્તાને કહ્યું કે તેણે પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની ઍન્ટી-ડ્રોન સિસ્ટમે બધા ડ્રોનને તોડી પાડ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી. ગુરુવારે મોડી રાત્રે અફઘાન સેનાએ છ સરહદી પ્રાંતોમાં હુમલા શરૂ કર્યા હતા. અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રવિવારે અફઘાન સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. 

પાકિસ્તાને અગાઉ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં તાજેતરના હુમલાઓ અને આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટો પાછળ અફઘાનિસ્તાનમાં સ્થિત આતંકવાદી જૂથોનો હાથ હતો અને તેની પાસે આના ‘પુરાવા’ છે. અફઘાન અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે શુક્રવારે સવારે નાંગરહાર પ્રાંતના તોરખામ સરહદી વિસ્તારમાં લડાઈ ચાલુ રહી હતી. અફઘાન પક્ષે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા મોર્ટાર શૅલ નાગરિક વિસ્તારોમાં પડ્યા હતા, જેમાં રાતોરાત ખાલી કરાયેલા શરણાર્થી શિબિરનો પણ સમાવેશ થાય છે.

અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે પાકિસ્તાની લશ્કરી ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતા. આમાં ઇસ્લામાબાદના ફૈઝાબાદ વિસ્તાર નજીક એક લશ્કરી ચોકી અને ખૈબર પખ્તુનખ્વામાં નૌશેરા કેન્ટ, જમરુદ અને એબોટાબાદમાં લશ્કરી છાવણીઓનો સમાવેશ થાય છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદને ટાંકીને અહેવાલ આપવામાં આવ્યો છે કે અફઘાન દળોએ 19 પાકિસ્તાની સરહદી ચોકીઓનો નાશ કર્યો છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે 55 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ઘણા અન્યને પકડવામાં આવ્યા છે.