ગુજરાતની પેટાચૂંટણીમાં પણ થઈ શકે છે AAP-કોંગ્રેસનું ગઠબંધન

March 17, 2024

ભાવનગર- ગુજરાતમાં સાત મેના લોકસભાની 26 બેઠકો પર યોજાશે. સાથે રાજ્યની કુલ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે. આ દરમિયાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોંગ્રેસ અને AAP એક થઈને આ પેટાચૂંટણી લડવાના મૂડમાં છે.
રાજ્યમાં હાલ 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠક ખાલી પડી છે. ખંભાત, વિજાપુર,વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં પેટાચૂંટણી યોજાશે. જો કે, વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ ચૂંટણી પંચ દ્વારા આ બેઠક પર પેટાચૂંટણી યોજવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક પરથી કોંગ્રેસ અને આપના ગઠબંધનથી ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. ત્યારે હવે બંને પક્ષ વચ્ચે વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ગઠબંધનની શક્યતા રહેલી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, લોકસભાની ચૂંટણી જાહેરાત બાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મળેલી બેઠકમાં બંને પક્ષે ગઠબંધનને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ માટે બંને પક્ષ દ્વારા 4 બેઠક પર કોંગ્રેસ, 2 બેઠક પર AAP ચૂંટણી લડી શકે છે. તેમજ વિસાવદર બેઠક પેટાચૂંટણી જાહેર થઈ શકે છે. બંને પક્ષ સાથે મળીને ચૂંટણી લડે તો પેટાચૂંટણીમાં સારા પરિણામ મળી શકે છે. જેના માટે પેટાચૂંટણીમાં ગઠબંધન કરવા માટે બંને પક્ષો હાઈકમાન્ડને અભિપ્રાય મોકવામાં આવી શકે છે.