એર ઈન્ડિયાએ 8 ફ્લાઈટ રદ કરતા દેશભરમાં મુસાફરો રઝળી પડ્યાં

June 20, 2025

અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ પણ કેન્સલ

અમદાવાદ : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ભારતીય એરલાઈન્સ સુરક્ષા મામલે અત્યંત સજાગ બની છે. સુરક્ષા અને પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં એર ઈન્ડિયાએ આજે આઠ ફ્લાઈટ રદ કરી છે. જેમાં ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ અને 4 ડોમેસ્ટિક ફ્લાઈટ સામેલ છે. રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સ ચેન્નઈ, દિલ્હી, દુબઈ, મેલબર્ન, પુણે, અમદાવાદ, હૈદરાબાદ, અને મુંબઈથી ઉડાન ભરવાની હતી. આ ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
એરક્રાફ્ટની ટેક્નિકલ ચકાસણી, ખરાબ હવામાન અને એરસ્પેસના પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં એર ઈન્ડિયાએ આઠ ફ્લાઈટ રદ કરી હોવાનું જણાવ્યું છે. એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું કે, એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ દુબઈથી ચેન્નઈ AI906, દિલ્હીથી મેલબર્ન AI308, અને AI309 મેલબર્નથી દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, દુબઈથી હૈદરાબાદની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. પુણેથી દિલ્હી, અમદાવાદથી દિલ્હી, હૈદરાબાદથી મુંબઈ અને ચેન્નઈથી મુંબઈની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. મેન્ટનન્સ ઓપરેશનલ કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરલાઈન કંપનીએ જણાવ્યું હતું કે, જે લોકોની મુસાફરી પ્રભાવિત થઈ છે, તેમને સંપૂર્ણ રિફંડઅને રિશિડ્યુલિંગની સુવિધા મળશે. તેમજ વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ અસુવિધા બદલ ખેદ છે. અમારો સ્ટાફ વૈકલ્પિક હવાઈ મુસાફરીની સુવિધા આપવા માટે તત્પર છે.

- ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કેન્સલ
AI 906 દુબઈથી ચેન્નઈ
AI 308 દિલ્હીથી મેલબર્ન
AI 309 મેલબર્નથી દિલ્હી
AI 2204 દુબઈથી હૈદરાબાદ

- ચાર ડોમેસ્ટિક ફ્લાઈટ કેન્સલ
AI 878 પુણેથી દિલ્હી
AI 456 અમદાવાદથી દિલ્હી
AI 571 ચેન્નઈથી મુંબઈ
AI 2872 હૈદરાબાદથી મુંબઈ