યુદ્ધગ્રસ્ત ઈરાનથી વધુ 290 ભારતીયોને લઇ બીજું વિમાન દિલ્હી પહોંચ્યું

June 21, 2025

ભારત સરકાર ઓપરેશન સિંધુ ચલાવીને યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢી રહી છે. શુક્રવારે (20 જૂન) રાત્રે ઈરાનના મશહદથી એક ફ્લાઇટમાં લગભગ 290 ભારતીયો પોતાના દેશ પરત ફર્યા હતાં. તેમાના મોટાભાગના વિદ્યાર્થીઓ છે. 

ઈરાનની સરકારે ભારતીયોને તેમના દેશમાં લાવવા માટે મશહદથી 3 ફ્લાઇટ મોકલવાની જાહેરાત કરી હતી, જેમાંથી એક ફ્લાઇટ શુક્રવારે રાત્રે આવી હતી. આજે દિવસ દરમિયાન વધુ 2 ફ્લાઇટ્સ આવશે. આ 3 ફ્લાઇટ્સ દ્વારા લગભગ એક હજાર ભારતીયો ભારત પહોંચશે.

ભારતીય દૂતાવાસ પહેલા ભારતીયોને તેહરાનથી કોમ અને પછી ત્યાંથી મશહદ લાવ્યું. હવે તેમને ઈરાનના અધિકારીઓની મદદથી ભારત લાવવામાં આવી રહ્યા છે. શુક્રવારે રાત્રે, જ્યારે પહેલી ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી, ત્યારે તેમાં આવેલા ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો. પછી તેમણે 'ભારત માતા કી જય' અને 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા. ઈરાનથી સુરક્ષિત પરત ફરવા બદલ તેઓએ મોદી સરકારનો આભાર માન્યો હતો.

ઈરાનથી પરત ફરેલી નોઈડાની રહેવાસી તાઝકિયા ફાતિમાએ કહ્યું કે, 'ઈરાનમાં પરિસ્થિતિ સારી નથી. ઈઝરાયલી હુમલાથી ત્યાં ભારે વિનાશ થયો છે. ઈમારતો અને રસ્તાઓ તૂટી ગયા છે. ઘણા વિસ્તારોમાં સન્નાટો ફેલાઈ ગયો છે, લોકો પોતાના ઘર છોડીને નીકળી ગયા છે. અમે તો વિચાર્યું હતું કે અમે ક્યારેય ત્યાંથી બહાર નહીં નીકળી શકીએ પરંતુ અમે ભારત સરકારના આભારી છીએ કે તેમણે અમારા વિશે વિચાર્યું અને આજે અમે અમારા વતન, અમારા પરિવાર સાથે છીએ.'