ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત: ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત

December 09, 2025

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ચાંગોદરમાં આજે એક હચમચાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. અહીંના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી કંપનીની બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર પડતા, ત્યાંથી પસાર થઈ રહેલા એક નિર્દોષ બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચાંગોદર બ્રિજ પરથી 'યુનિસન ફાર્મા' કંપનીની સ્ટાફ બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચાલુ બસે અચાનક ટાયર નીકળી ગયું હતું. આ ટાયર બ્રિજ પરથી સીધું નીચે સર્વિસ રોડ પર ખાબક્યું હતું. કમનસીબે, તે જ સમયે નીચેથી બાઈક લઈને પસાર થઈ રહેલા ભીખાભાઈ ત્રિકમભાઈ ઝાલા પર આ તોતિંગ ટાયર પડ્યું હતું.

સર્વિસ રોડ પર જઇ બાઈક સવાર ભીખાભાઈ પર ટાયર પડતાં ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મૃતક ભીખાભાઈ ઝાલા મૂળ ધોળકા તાલુકાના બદરખા ગામના રહેવાસી હતા. તેઓ હર્ષા નામની ખાનગી કંપની પાસેથી સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા ત્યારે કાળ બનીને આવેલા ટાયરે તેમનો ભોગ લીધો હતો.