મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો ગેમપ્લાન ! 99 ઉમેદવારોમાંથી 89 રિપિટ

October 20, 2024

ચિંચવાડ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ચૂક્યો છે. 20 નવેમ્બરે 288 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તેમાંથી ભાજપે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાં 99 ઉમેદવારોને ટિકિટ ફાળવી દીધી છે. આ યાદીમાં 89 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે બળવાખોરોથી પક્ષે અંતર જાળવ્યું છે.


આ પ્રથમ યાદીમાં દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુલે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ જેવા અગ્રણી નેતાઓ સામેલ છે. ભાજપની પ્રથમ યાદીમાં 99 નામોમાંથી 89 ટિકિટ વર્તમાન ધારાસભ્યોને જ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે, આ યાદીમાં એક પણ લઘુમતી ચહેરો સામેલ નથી. જો કે, મોટાભાગના ઉમેદવારો ઓબીસી, મરાઠા અને કેટલાક આદિવાસી સમુદાયના છે, જે વર્ષોથી ભાજપની પરંપરાગત વોટ બેન્ક છે.
ભાજપની લાડલી બહેન યોજનાને 'વોટનો જુગાર' ગણાવનાર ટેકચંદ સાવરકરની ટિકિટ રદ્દ થઈ છે. તેમની જગ્યાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને કામઠી સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.


2019માં કેટલાક ધારાસભ્યોના બદલે નવા ચહેરાને ટિકિટ આપવાનુ નુકસાન ભાજપે યાદ રાખ્યું છે. જેના પગલે આ વખતે તેણે ધારાસભ્યોની લોકપ્રિયતા અને સમુદાયને ધ્યાનમાં રાખી ટિકિટ ફાળવણી કરી હોવાનું વિશ્લેષણમાં જાણવા મળ્યું છે. જેનું ઉદાહરણ ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે છે. જેમને ગત ચૂંટણીમાં ટિકિટ મળી ન હતી. બાવનકુલેને 2019માં ટિકિટ ન મળતાં તેલી સમુદાયના મતો વહેંચાઈ ગયા હતા. જેથી આ વખતે તેમને કામઠી બેઠક પરથી ચૂંટણી લડવાની તક આપી છે. બાવનકુલે 2004, 2009 અને 2014માં કામઠીમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
આ સિવાય ભાજપે ચિંચવાડ બેઠક પરથી અશ્વિની જગતાપની ટિકિટ રદ્દ કરી છે. તેમના સ્થાને અશ્વિની જગતાપના સાળા શંકર જગતાપને ચૂંટણી લડવાની તક આપી છે. ભાજપના સ્થાનિક કાર્યકરોના વિરોધ બાદ અશ્વિની જગતાપ શરદ પવારની એનસીપીમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી.