મોદીના જન્મદિવસે સુરતમાં સેવા અને ઓફરનો સંગમ:દીર્ઘાયુ માટે મહાઆરતી, 2400થી વધુ વેપારીઓની ડિસ્કાઉન્ટ ઓફર

September 06, 2026

સુરત -વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સુરત (પશ્ચિમ) વિધાનસભા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સુરત (પશ્ચિમ)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદ યોજી આ અંગેની માહિતી આપી હતી. પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરે સમગ્ર સુરતમાં 7600થી વધુ ગણેશ પંડાળ અને મંદિરોમાં વડાપ્રધાન મોદીના દીર્ઘાયુ માટે સામૂહિક મહાઆરતી યોજાશે. સાંજે 6થી 10 વાગ્યા દરમિયાન યોજાનારી આ મહાઆરતીમાં લાખોની સંખ્યામાં લોકો જોડાશે. ગણેશ મંડળો અને મંદિરોને આરતીની થાળી, મોદીના ફોટાવાળા બેનર સહિતની સામગ્રી પહોંચાડવામાં આવશે.


આ ઉપરાંત મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરતના 2400થી વધુ વેપારીઓ અને સંસ્થાઓએ વિવિધ ડિસ્કાઉન્ટ જાહેર કર્યા છે. હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, હોટલ-રેસ્ટોરન્ટ, શાકભાજી માર્કેટ, બેકરી, મીઠાઈ, ગારમેન્ટ સહિતના વ્યવસાયોમાં ૫થી 76 ટકા સુધીની રાહત આપવામાં આવશે. આ ઓફરનો લાભ ત્રણ લાખથી વધુ લોકો લે તેવી શક્યતા હોવાનું પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. શહેરની 50થી વધુ હોસ્પિટલોમાં ઓપીડી, પેથોલોજી અને દવાઓમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત 200થી વધુ મેડિકલ સ્ટોરમાં 10થી 20 ટકા સુધીની રાહત મળશે. પાલનપુર પાટીયાની શાકભાજી માર્કેટના 120 જેટલા વિક્રેતાઓ, અડાજણની વિવિધ આર્કેડની 270થી વધુ દુકાનો તેમજ રિક્ષાચાલકો પણ આ અભિયાનમાં જોડાયા છે. નવીન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા 17થી 20 સપ્ટેમ્બર દરમિયાન ૫થી 76 ટકા સુધીની ઓફર જાહેર કરવામાં આવી છે.