નવસારીમાં ધર્માંતરણનો વિવાદ: વીડિયો વાયરલ થતા ત્રણ સામે નોંધાઈ ફરિયાદ

November 30, 2024

નવસારી : નવસારીમાં સોશિયલ મીડિયામાં ધર્માંતરણનો અંગેનો એક વર્ષ જૂનો વીડિયો બે દિવસ પહેલાં વાયરલ થયો હતો. આ પ્રકરણમાં વિજલપોરની સેવન્થ ડે સ્કૂલના શિક્ષક દંપતી સહિત ત્રણ લોકો સામે હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવવા બાબતે નવસારીના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર દ્વારા જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે શિક્ષક દંપતીની ધરપકડ કરી નવસારી એસ.ઓ.જી પોલીસે તપાસ હાથ ધરી છે. 
નવસારીના વિજલપોર શ્યામનગર ખાતે સેવન્થ ડે સ્કૂલના શિક્ષક દંપતી દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ કરાવવા બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે નવસારી પંથકના હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. આ સંદર્ભે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ આવેદન પત્ર પાઠવ્યું હતું અને તેમાં સેવન્થ ડે સ્કૂલના શિક્ષક દંપતી કમલ નાસકર અને શિક્ષિકા પત્ની સરિતા નાસકર દ્વારા ધર્મ પરિવર્તન જેવી વટાવ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અને તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ એવું બોલી રહ્યા છે કે, તમારા ઘરમાં જે કોઈ હિન્દુ દેવી-દેવતાઓના ફોટા હોય તેને ફેંકી દો કેમકે ઈશુ જ સૌથી મહાન ઈશ્વર છે.  આ વિશે સ્કૂલ બહાર હિન્દુ સંગઠનો દ્વારા સેવન્થ ડે સ્કૂલ બહાર લોકતાંત્રિક પદ્ધતિથી ધરણા પ્રદર્શન સાથે વિરોધ કર્યો હતો. આ સાથે હિન્દુ સંગઠને કહ્યું કે, વીડિયો પરથી સ્પષ્ટ સમજાય છે કે, આટલું હોવા છતાં સરકાર અને તંત્ર મૌન છે તે સનાતન સમાજ માટે શરમની વાત છે. સનાતન ધર્મ સહનશીલ છે પણ નપુસંક નથી. પાણી જ્યારે માથા પરથી વહે ત્યારે તેનો જોરદાર પ્રતિકાર પણ કરે છે. એમ જણાવી આ બાબતને ગંભીરતાથી લઈ ધર્માંતરણ કરાવતા બંને શિક્ષક દંપતી વિરુદ્ધમાં સરકાર અને પ્રસાશન કડક કાર્યવાહી કરી FIR દાખલ કરી જેલ ભેગા કરે, જેથી દાખલો બેસે અને અન્ય ઈસાઈ આવું કૃત્ય ન કરે.