પાવાગઢમાં નવરાત્રિ દરમિયાન ભક્તોનું કીડિયારું, 5 લાખથી વધુ ભક્તોએ કર્યાં દર્શન

October 13, 2024

પાવાગઢ- પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પહેલાં નોરતાથી જ મહાકાળી માતાજીના ભક્તો દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. નવરાત્રિ દરમિયાન જાણે માતાના ગઢે ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આ વખતે ફક્ત નવરાત્રિના નવ દિવસોમાં જ 5 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતાં. માતાજીનું પવિત્ર આસ્થા ધામ એવા પાવાગઢમાં નવરાત્રિ દરમિયાન પાંચ લાખથી વધુ માઇ ભક્તોએ પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પહોંચ્યા હતાં. મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ માતાજીના દર્શન માટે પહોંચ્યા હતાં.  રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લાખો માઇ ભક્તો મહાકાળી માતાના મંદિર દર્શન માટે પહોંચ્યા હતાં. આ પદયાત્રીઓ મોટાભાગે રાત્રિ દરમિયાન જ પ્રવાસ ખેડતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.