અમેરિકાના હવાઈ હુમલા બાદ પણ હુથીઓની જાહેરાત, યુદ્ધમાં યમન પણ પીછેહઠ નહીં કરે

April 19, 2025

યમન પર અમેરિકાના હવાઈ હુમલા બાદ હુથી બળવાખોરોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. હુથીઓએ અમેરિકા અને ઈઝરાયલને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે અને યુદ્ધ ચાલુ રાખવાનું એલાન કરી દીધું છે. હુથી બળવાખોરોએ કહ્યું છે કે, અમે અમેરિકા અને ઈઝરાયલ સામેની પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરીશું. એક અહેવાલ પ્રમાણે હુથી-નિયંત્રિત સશસ્ત્ર દળોએ કહ્યું છે કે 'જ્યાં સુધી ગાઝા પર ઈઝરાયલનું આક્રમણ બંધ ન થાય અને ગાઝા પરનો ઘેરો સંપૂર્ણપણે હટાવવામાં ન આવે ત્યાં સુધી યમન પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં પોતાનું અભિયાન ચાલુ રાખશે.' અમેરિકાના હવાઈ હુમલા પર નિવેદન આપતા હુથી બળવાખોરોએ કહ્યું કે, આ આક્રમણથી સંઘર્ષ વધશે. યમન કોઈપણ સંજોગોમાં પીછેહઠ નહીં કરશે. તમને જણાવી દઈએ કે યમન પર અમેરિકન હવાઈ હુમલામાં 74 લોકોના મોત થઈ ગયા છે. અહેવાલ પ્રમાણે અમેરિકાએ ગુરુવારે મોડી રાત્રે યમનના ઈસા તેલ બંદર પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં 74 લોકોના મોત થઈ ગયા હતા અને 171 લોકો ઘાયલ થયા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. CENTCOMનું કહેવું છે કે, હુથી બળવાખોરોને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. તેને નબળું પાડવા માટે અમેરિકાએ હૂથીઓ પર હુમલો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા CENTCOM એ લખ્યું કે, 'આજે અમેરિકન સેનાએ ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓના ઉર્જા સ્ત્રોતોનો નાશ કરવા માટે કડક કાર્યવાહી કરી.' તમને જણાવી દઈએ કે, અમેરિકા માર્ચ મહિનાથી હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી રહ્યું છે. અમેરિકા સતત યમનની તેલ રિફાઈનરીઓ, એરપોર્ટ અને મિસાઈલોને ટાર્ગેટ કરી રહ્યું છે. બીજી તરફ હુથી બળવાખોરો પણ લાલ સમુદ્રમાં અમેરિકન જહાજો પર વારંવાર હુમલો કરી રહ્યા છે.