જાપાનમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલન, અનેક લોકોનું સ્થળાંતર

July 26, 2024


ટોકીયો ઃ જાપાનમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે લોકોની મુશ્કેલી વધી છે. ઉત્તર જાપાનમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના પગલે પરિવહન સેવા ખોરવાઈ છે. તો સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી હતી. તેમજ જાપાનની હવામાન એજન્સીએ યામાગાતા અને અકિતા પ્રાંતના ઘણા શહેરોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. 


અગ્નિ અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર, અકિતા પ્રાંતના યુઝાવા શહેરમાં એક વ્યક્તિ ભૂસ્ખલનને કારણે ગુમ થઈ ગયો હતો. તેમજ યુઝાવા એટલું પૂરગ્રસ્ત હતું કે ત્યાં બચાવકર્મીઓએ બોટની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 11 પ્રભાવિત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. પૂરથી પ્રભાવિત યામાગાતા પ્રાંતમાં ગુરુવારે એક કલાકમાં 10 સેન્ટિમીટર (ચાર ઇંચ) થી વધુ વરસાદ પડ્યો હતો. જેના પગલે આ ક્ષેત્રના હજારો લોકોને ઊંચા અને સુરક્ષિત સ્થળે આશ્રય  લેવાની સલાહ આપી હતી.  વડા પ્રધાન કિશિદાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતીનું સતત નિરીક્ષણ કરવા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. તેમજ યામાગાતા શિંકનસેન બુલેટ ટ્રેન સેવાઓ ગુરુવારે આંશિક રીતે સ્થગિત કરવામાં આવી હતી. એજન્સીએ શુક્રવારે સાંજ સુધીમાં આ વિસ્તારમાં લગભગ 20 સેન્ટિમીટર (આઠ ઇંચ) વધુ વરસાદની આગાહી કરી હતી અને લોકોને સતર્ક રહેવાનો આગ્રહ કર્યો હતો.