અમેરિકા માટે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતા રહ્યા: પાકિસ્તાન

April 25, 2025

પહલગામ : પહલગામમાં આતંકવાદીઓ દ્વારા 28 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે એક નિવેદનમાં સ્વીકાર્યું કે પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદને પોષી રહ્યું છે. તેમણે બ્રિટિશ મીડિયા સાથે વાત કરી છે. 


મીડિયા દ્વારા ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું હતું કે, 'શું તમે સ્વીકારો છો કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને ટેકો આપવા, તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાનો લાંબો ઇતિહાસ છે?' જવાબમાં, આસિફે એક સનસનાટીભરી કબૂલાતમાં કહ્યું, 'હા, અમે છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકા અને પશ્ચિમમાં બ્રિટન સહિત આ ગંદુ કામ કરી રહ્યા છીએ.' ખ્વાજા આસિફે વધુમાં કહ્યું હતું, કે 'આ અમારી મોટી ભૂલ હતી. સોવિયત સંઘ વિરુદ્ધ યુદ્ધ અને અમેરિકામાં આતંકવાદી હુમલામાં અમે સામેલ ન હોત તો આજે અમારો રેકોર્ડ સારો હોત. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ સામે લડવા માટે આતંકવાદીઓનો 'પ્રોક્સી' તરીકે ઉપયોગ કર્યો છે


ભારત દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહીના સવાલ પર આસિફે કહ્યું છે, કે જો મોટો હુમલો થશે તો યુદ્ધ થશે. પાકિસ્તાનના સંરક્ષણમંત્રીના આ નિવેદનથી ભારતનું વલણ મજબૂત બન્યું છે. ભારતે વૈશ્વિક મંચ પર હંમેશા કહેતું આવ્યું છે કે પાકિસ્તાની સરકાર આતંકવાદને સમર્થન આપે છે. પરંતુ પાકિસ્તાને આ નિવેદનમાં પોતાની આતંકવાદી નીતિઓ માટે અમેરિકાને દોષી ઠેરવતાં કહ્યું કે, 'અમે ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આતંકવાદી સંગઠનોને ટેકો આપ્યો કારણ કે આ અમારી વ્યૂહરચનાનો એક ભાગ હતો.'