ઉજ્જ્વળ ભવિષ્ય માટે વૈશ્વિક શાંતિ આવશ્યક છે :વડાપ્રધાન નરેન્દ્રમોદી

October 07, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ અને દશ ઓક્ટોબરે લંડનમાં યોજાનારા ન્યાયશાસ્ત્રીઓ અને લેખકોના આંતરરાષ્ટ્રીય સંમેલનના આયોજકોને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લખ્યું કે ઉજ્જ્વળ ભવિષ્ય માટે વૈશ્વિક શાંતિ આવશ્યક છે. આપણા સામૂહિક પ્રયાસોની સફળતા રાષ્ટ્ર અને સમુદાયો વચ્ચેની એકતા અને સહયોગ પર નિર્ભર છે.

સંમલનના આયોજક વરિષ્ઠ વકીલ અને આંતરરાષ્ટ્રીય ન્યાયશાસ્ત્રી પરિષદ અને આંતરરાષ્ટ્રીય લેખક પંચના અધ્યક્ષ આદિશ સી અગ્રવાલને લખેલા પત્રમાં પીએમ મોદીએ ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને શાંતિ માટેની ભારતની ઐતિહાસિક પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડયો છે. પીએમએ લખ્યું કે મુખ્ય ન્યાયાધીશ, મંત્રીઓ, સંસદસભ્યો, બાર નેતાઓ, લેખકો, સંપાદકો અને કાયદાના શિક્ષકોની સામૂહિક વિશેષજ્ઞતા વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહિત કરનારી નીતિઓને આકાર આપવા માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે લખ્યું કે ઉજ્જ્વળ ભવિષ્ય માટે વૈશ્વિક શાંતિ આવશ્યક છે.

વડાપ્રધાને લખ્યું કે નવા સંઘર્ષ રાષ્ટ્રોની સામાજિક અને આર્થિક સ્થિરતાને નુકસાન પહોંચાડે છે. આ પડકારોનો સામનો માત્ર વૈશ્વિક કાર્યવાહી અને લોકોના પારસ્પરિક જોડાણના માધ્યમથી જ અસરકારક રીતે કરી શકાય છે. ભારત એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યનાં દર્શનથી પ્રેરિત અને વૈશ્વિક શાંતિ, એકતા અને બંધુત્વને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. તેનો હેતુ ભવિષ્યની પેઢીઓ માટે શાંતિપૂર્ણ દુનિયાનું નિર્માણ કરવાનો છે. તેમણે લખ્યું કે આ સંમેલનમાં થનારી ચર્ચા શાંતિ, સદ્ભાવ અને કલ્યાણ માટે દૂરદર્શી રૂપરેખા તૈયાર કરશે. પીએમ મોદીએ સંમેલનમાં ભાગ લેનારાઓની વિચારવિમર્શમાં સફળતાની કામના કરતાં વૈશ્વિક શાંતિને પ્રોત્સાહિત કરવા તેમના સામૂહિક પ્રયાસોના મહત્ત્વ પર પ્રકાશ પાડયો.