ગુરુનો ઉદય થતાં સર્જાશે હંસ રાજયોગ:27 એપ્રિલે ગુરુનો ઉદય થતાં માંગલિક કાર્યો શરૂ થશે

April 25, 2023

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, 1 એપ્રિલથી મીન રાશિમાં અસ્ત ગુરુએ 22 એપ્રિલે મેષમાં અસ્ત અવસ્થામાં પ્રવેશ કર્યો હતો જેના કારણે માંગલિક કાર્યો શરૂ થયા ન હતાં. હવે 27 એપ્રિલે ગુરુ ઉદય થતાં માંગલિક કાર્યો શરૂ થઈ શકશે સાથે જ દેવગુરુ બૃહસ્પતિ ઉદય થવા સાથે જ હંસ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેની શુભાશુભ અસર રાશિચક્રની કેટલીક રાશિઓ પર શુભ રીતે પડશે. આ સાથે જ જાણો બૃહસ્પતિ ગુરુનું જ્યોતિષીય અને ધાર્મિક મહત્વ શું હોય છે....

જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન અને માંગલિક બાબતો માટે ગુરુ અને શુક્ર ગ્રહ ને ખાસ કરીને શુભ માનવામાં આવે છે કેમ કે તેની સીધી અસર સીધી અસર માનવજીવન પર જોવા મળે છે જ્યોતિષશાસ્ત્રના ગણિત પ્રમાણે ગુરુ ગ્રહને કન્યા માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે. તે જ રીતે શુક્ર ગ્રહને પુરુષ માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે. માટે જ દેવગુરુ બૃહસ્પતિના એટલે ગુરુના ઉદય અને અસ્ત થવાથી તે સમયના શુભ-અશુભ કાર્ય પર ખુબ જ અસર પડે છે જેથી ખાસ કરીને લગ્ન જેવા માંગલિક કાર્યમાં તો ગુરુ-શુક્ર અસ્ત હોય ત્યારે નિષેધ ગણાય છે. તારીખ 1 એપ્રિલ 2023ના રોજ સાંજે 07 વાગ્યાથી મીન રાશિમાં અસ્ત થયેલો અને હવે 27 એપ્રિલે ઉદય થશે ત્યાર બાદ જ લગ્ન જેવા માંગલિક કાર્યો શરૂ થશે એટલે 4 મે 2023ના રોજ લગ્ન માટેનું પ્રથમ મુહૂર્ત રહેશે અને છેલ્લું મુહૂર્ત 27 જૂન રહેશે. તેના એક દિવસ પછી 29 જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે. આ દિવસથી ચાર મહિના માટે બધા જ શુભ માંગલિક કાર્યો વિરામ થઈ જશે. ત્યારબાદ 2023માં દેવઊઠી અગિયારસ પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટેના કેટલાક શુભ મુહૂર્ત રહેશે.

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહ શુભ ગ્રહ હોવાને કારણે જયારે ગુરુ ગ્રહ અસ્ત થાય છે એટલે કે સૂર્યની નજીક એટલે લગભગ 11 ડીગ્રી નજીક આવે છે ત્યારે ગુરુ ગ્રહની આ સ્થિતિ તેના શુભ ફળોમાં અછતનું કારણ બને છે અને માનવીને શુભ ફળો મેળવવામાં અવરોધોનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં કોઈપણ શુભ અને માંગલિક કાર્યમાં ઝડપથી શુભ ફળ નથી મળતું અને કોઈપણ કાર્યને સફળ બનાવા માટે વ્યક્તિને વધારે કઠિનાઈનો સામનો કરવો પડે છે. જેથી પ્રાચીન કાળથી ગુરુ અસ્ત હોય તે સમય દરમ્યાન શુભ અને માંગલિક કાર્યો નથી કરવામાં આવતાં.

જ્યારે પણ ગુરુ એક રાશિથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે, ત્યારે ગુરુનું સંક્રમણ જ્ઞાન, વૃદ્ધિ, શિક્ષણ, સંતાન, દાન, પિતા-પુત્રના સંબંધો વગેરેને અસર કરે છે. જ્યોતિષ પ્રમાણે ગુરુ સંક્રમણ કરે છે ત્યારે તેની અસરથી તમામ રાશિના લોકોના જીવનમાં ઊથલપાથલ જોવા મળે છે. બીજી તરફ, દેવ ગુરુ ગુરુ 27 એપ્રિલે મેષ રાશિમાં ઉદય પામશે. આ કારણે ઘણી રાશિના લોકોના જીવનમાં ચમત્કારિક ફેરફારો જોવા મળશે. આ રાશિના જાતકોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થશે.