2025માં SCને ત્રણ ચીફ જસ્ટિસનો લાભ મળશે, સાત જજ રિટાયર થશે

January 04, 2025

ચાલુ વર્ષે સુપ્રીમ કોર્ટને ત્રણ ત્રણ ચીફ જસ્ટિસ મળવાના છે. 10 નવેમ્બર 2024થી મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કરી રહેલા જસ્ટિસ સંજીવ ખન્ના મેના રોજ નિવૃત્ત થવાના છે. તેમના પછી બીઆર ગવઈ મુખ્ય ન્યાયાધીશ બનશે અને તેમનો કાર્યકાળ 23 નવેમ્બરે પૂરો થશે. પછી જસ્ટિસ સૂર્યકાંત ચીફ જસ્ટિસ બનશે. આ ઉપરાંત, ચાલુ વર્ષે કુલ સાત જસ્ટિસ સુપ્રીમ કોર્ટમાંથી રિટાયર થશે.

અત્યારના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ તો હજુ મુખ્ય ન્યાયાધીશ તરીકે ફાળવાતું સરકાર મકાન પણ નથી લીધું. તેમની દલીલ હતી કે તેમનો કાર્યકાળ ખૂબ ટૂંકો છે; તેને જોતાં ઘરમાં શિફ્ટ થવું અને પછી તેને ખાલી કરવું એક લાંબી પ્રક્રિયામાં અટવાવું પડશે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે સૌથી લાંબો કાર્યકાળ ડી.વાય. ચંદ્રચૂડના પિતા વાય.વી. ચંદ્રચૂડનો રહ્યો છે. તેઓ 22 ફેબ્રુઆરી 1978એ ચીફ જસ્ટિસ બન્યા હતા અને 11 જુલાઈ 1985એ રિટાયર થયા હતા.

સૌથી પહેલાં પાંચ જાન્યુઆરીએ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યન રિટાયર થવાના છે. તેમનો કાર્યકાળ લગભગ ત્રણ વર્ષનો રહ્યો છે. જસ્ટિસ ઋષિકેશ રોય પણ 31 જાન્યુઆરીએ રિટાયર થવાના છે. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ ચાર વર્ષનો રહ્યો છે. સુપ્રીમ કોર્ટ પહેલાં તેઓ ગુવાહાટી હાઇકોર્ટમાં સેવા આપતા હતા અને પછી કેરળ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બનાવાયા હતા. જસ્ટિસ અભય ઓકા 24 મેએ રિટાયર થવાના છે. સુપ્રીમ કોર્ટમાં તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહ્યો. ચાલુ વર્ષે જ જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ સુધાંશુ ધૂલિયા પણ રિટાયર થવાના છે.